16 April, 2025 07:39 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન આરામ ફરમાવી રહેલા કલકત્તાના ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસાલ, સુનીલ નારાયણ અને મનીષ પાંડે
IPL 2025ની ૩૧મી મૅચ આજે પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. છેલ્લી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ્સને કારણે પોતાના મોટા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ પંજાબને આજે કલકત્તા રૂપે વધુ એક પડકારજનક પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડશે. કલકત્તાએ પોતાની છેલ્લી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સને ૫૯ બૉલ બાકી રાખીને સૌથી મોટી હાર આપી હતી.
બન્ને ટીમનું બૅટિંગ-યુનિટ હાલમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યું છે. કલકત્તાની સરખામણીમાં હાલમાં પંજાબનું બોલિંગ-યુનિટ નબળું દેખાઈ રહ્યું છે. હૈદરાબાદ સામે ૨૪૬ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરતાં આઠ બોલરનો ઉપયોગ કરવામાં આવ્યો, પણ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલને જ ૧-૧ વિકેટ મળી હતી. આ મૅચથી પંજાબના બોલર્સના મનોબળ પર મોટી અસર પડી છે. તેઓ આ મૅચમાં શાનદાર કમબૅક કરવાના ઇરાદા સાથે ઊતરશે. ૨૦૨૪થી પંજાબના હોમ ગ્રાઉન્ડ રહેલા મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કૅપ્ટન શ્રેયસ ઐયર અને કૅપ્ટન અજિંક્ય રહાણેની ટીમ પહેલી વાર ટકરાશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૩૩ |
KKRની જીત |
૨૧ |
PBKSની જીત |
૧૨ |