14 May, 2026 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભસિમરને ૧૧ મૅચમાં ચાર હાફસેન્ચુરી સાથે કુલ ૩૮૨ રન બનાવ્યા છે.
આ સીઝનમાં પંજાબ કિંગ્સે પ્રથમ ૭ મૅચ હાર્યા વગર શાનદાર શરૂઆત કરી હતી, પણ પછી ૪માં મળેલા પરાજયને પગલે ટીમની ટીકાઓ થવા લાગી છે. ટીમની ચોથી હાર બાદ એવી ચર્ચાઓ થવા લાગી છે કે ખેલાડીઓ ઓવર-કૉન્ફિડન્સમાં આવી ગયા છે અને મોડી રાત સુધી ક્લબમાં ગેમ રમ્યા કરે છે અને ટ્રેઇનિંગ-સેશનમાં પણ હાજરી નથી આપતા આને લીધે ખેલાડીઓ ફિટનેસ-લેવલ જાળવી નથી શકતા અને પરિણામે ટીમ એક પછી એક મૅચ હારી રહી છે. પંજાબે નબળી ફીલ્ડિંગને લીધે જ અમુક મૅચ ગુમાવી છે. એક અહેવાલમાં ટીમના ધાકડ ઓપનર પ્રભસિમરન સિંહને ટાર્ગેટ કરતાં લખવામાં આવ્યું હતું કે તે ફિટનેસ પર ધ્યાન નથી આપી રહ્યો અને તેનું ૭ દિવસમાં ૧૦ કિલો વજન વધી ગયું છે. જોકે વળતો પ્રહાર ન કરે એ પંજાબી નહીં. પ્રભસિમરને ધરમશાલામાં એક સુંદર ઝરણા પાસે શર્ટ અને પૅન્ટ વગર તેની હૃષ્ટપુષ્ટ બૉડી દર્શાવતા ફોટો સાથે ચૂપ રહેવાની ઇમોજી સોશ્યલ મીડિયામાં શૅર કરીને ટીકાકારોને જવાબ આપી દીધો હતો. પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રીતિ ઝિન્ટાએ પણ આ બધા અહેવાલોને પાયાવિહોણા અને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે.