11 April, 2026 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા સાથે ચર્ચા કરતો પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર
IPL 2026ના ત્રીજા ડબલ-હેડરની પહેલી ટક્કર આજે ન્યુ ચંડીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં થશે. સીઝનની આ સત્તરમી મૅચમાં અજેય પંજાબ કિંગ્સની ટક્કર સંઘર્ષ કરી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ સાથે થશે. ગુજરાત અને ચેન્નઈ સામેની જીત બાદ પંજાબની કલકત્તા સામેની મૅચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. હૈદરાબાદને નબળી કલકત્તા ટીમ સામે એકમાત્ર જીત મળી છે. બૅન્ગલોર સામેની પહેલી અને લખનઉ સામેની ત્રીજી મૅચ દરમ્યાન આ ટીમને કારમી હાર મળી હતી.
શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળ પંજાબ ટીમ વિજેતા ટીમ કેવી હોવી જોઈએ એનું ઉદાહરણ બની ગઈ છે. બોલિંગ, બૅટિંગ અને ફીલ્ડિંગ વિભાગમાં પ્લેયર્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. હૈદરાબાદનો સ્ટાર બૅટિંગ ટૉપ-ઑર્ડર હજી સારો લય પકડી શક્યો નથી. બોલિંગ વિભાગમાં મુખ્ય પેસ બોલર્સ હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટ ખાસ પ્રભાવ પાડી શક્યા નથી.
પંજાબ સામેની છેલ્લી ૪ મૅચથી હૈદરાબાદે બાજી મારી છે. ૨૦૨૦થી બન્ને વચ્ચે રમાયેલી ૧૦ મૅચમાં પંજાબ માત્ર ૩ મૅચ જીત્યું છે. પંજાબને છેલ્લી જીત ૨૦૨૨માં વાનખેડે સ્ટેડિયમાં રમાયેલી મૅચ દરમ્યાન મળી હતી.
મુલ્લાનપુરના સ્ટેડિયમમાં હૈદરાબાદની ટીમ ૨૦૨૪માં પંજાબ સામે એકમાત્ર મૅચ રમી છે જેમાં બે રને હોમ ટીમને હાર મળી હતી. પંજાબ આ સ્ટેડિયમમાં ૧૧માંથી ૪ મૅચ જીત્યું છે અને ૭ હાર્યું છે. વર્તમાન સીઝનમાં અહીં રમાયેલી એકમાત્ર મૅચમાં ગુજરાતને પંજાબ સામે ૩ વિકેટે હાર મળી હતી.