01 June, 2021 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીન્દ્ર જાડેજા
સંજય માંજરેકરે કરેલી કમેન્ટને લીધે નારાજ રવીન્દ્ર જાડેજા ૨૦૧૯ વર્લ્ડ કપ હાફ સેન્ચુરી બાદ તેનું ફેમસ તલવાર સેલિબ્રેશન તેમની તરફ હોવાનું કહ્યું હતું રવીન્દ્ર જાડેજા આજે ટીમનો નંબર-વન ઑલરાઉન્ડર બની ગયો છે અને ૧૮ જૂનથી રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં તે ભારતનો હુકમનો એક્કો બની રહેશે એવું ઘણા ક્રિકેટપંડિતોનું માનવું છે. જોકે ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપ વખતે તેનું ટીમ-સિલેક્શન ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓને પસંદ નહોતું. તેની ટીમમાં પસંદગી વિશે ટીકા કરવામાં ભૂતપૂર્વ બૅટ્સમૅન અને હવે કૉમેન્ટેટર સંજય માંજરેકર સૌથી આગળ હતો. માંજરેકરે તેને પ્રૉપર ઑલરાઉન્ડરને લીધે એક સાધારણ ક્રિકેટર ગણાવ્યો હતો. જાડેજાએ પણ તેની આ કમેન્ટ વિશે ટ્વિટર પર બરોબરનો જવાબ આપ્યો હતો અને લખ્યું હતું કે ‘તમે જેટલી મૅચ રમ્યા છોને એના કરતાં હું બમણી રમ્યો છું અને હજી રમી રહ્યો છું. સફળ લોકોને સન્માન આપતાં શીખો. તમારી બકવાસ કરવાની આદત વિશે ઘણું સાભળ્યું છે.’
એ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં જાડેજા ૭૭ રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. હાફ-સેન્ચુરી બાદ તેણે તેની ચિતપરિચિત સ્ટાઇલમાં સેલિબ્રેશન વિશે કહ્યું હતું કે ‘ત્યારે મામલો ગરમ હતો, હાફ-સેન્ચુરી બાદ હુ કૉમેન્ટરી બૉક્સ જ શોધી રહ્યો હતો. પણ પછી થયું તે ક્યાંક તો હશે જને. જેને ખબર છે એ સમજી ગયા હશે કે મારો ઇશારો કોની તરફ હતો.’
જાડેજા આજકાલ મુંબઈમાં એક હોટેલમાં ક્વૉરન્ટીનમાં છે અને આવતી કાલે લંડન રવાના થશે.