IND vs ZIM 2026: દેશને પ્રાથમિકતા આપી રિન્કુએ, અભિષેક અને અક્ષરે મૅચ પહેલા કર્યા મહાદેવના દર્શન

25 February, 2026 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત છે, પરંતુ ટીમ ઇન્ડિયાએ બાકીની બન્ને મૅચ જીતવી જ પડશે. દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી મળેલા પરાજયથી ભારતના નેટ રન રેટ પર નોંધપાત્ર અસર પડી છે. તેથી, ઝિમ્બાબ્વે સામે જીત મહત્ત્વપૂર્ણ છે.

અભિષેક શર્મા, અક્ષર પટેલ અને રિન્કુ સિંહ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ગુરુવારે ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2026નો મહત્ત્વપૂર્ણ મુકાબલો થવાનો છે. મૅચ પહેલા ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્મા અને ઉપ-કપ્તાન અક્ષર પટેલે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ચેન્નઈના પ્રખ્યાત મરુંડેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. મરુંડેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે.

મુલાકાત કેમ ખાસ?

અભિષેક શર્મા માટે આ મુલાકાત ખાસ માનવામાં આવે છે, કારણ કે ટી20 વર્લ્ડ કપ 2026 માં તેનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. ટુર્નામેન્ટ દરમિયાન તેને પેટમાં ઇન્ફૅકશન થયું હતું, જેના કારણે તેને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ કારણે, તે નામિબિયા સામે ગ્રુપ સ્ટેજ મૅચ ચૂકી ગયો. તેણે રમેલી ચાર મૅચમાં, તે ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો, અને દક્ષિણ આફ્રિકા સામે હારેલી મૅચમાં તેણે 14 રન બનાવ્યા હતા.

ભારત માટે કરો યા મારોની સ્થિતિ

ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત છે, પરંતુ ટીમ ઇન્ડિયાએ બાકીની બન્ને મૅચ જીતવી જ પડશે. દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી મળેલા પરાજયથી ભારતના નેટ રન રેટ પર નોંધપાત્ર અસર પડી છે. તેથી, ઝિમ્બાબ્વે સામે જીત મહત્ત્વપૂર્ણ છે. ટીમે જીત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને સાથે જ તેનો નેટ રન રેટ પણ સુધારવો પડશે. એવા પણ અહેવાલ છે કે અભિષેક શર્માએ વર્લ્ડ કપ ટીમમાં જોડાતા પહેલા પોતાના ઘરે જાગરણ રાખ્યું હતું. ખરાબ ફોર્મ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પછી, તે હવે એક મંદિરમાં ગયો છે અને આશીર્વાદ લીધા છે.

રિન્કુ સિંહે પરિવાર કરતાં રાષ્ટ્રને પ્રાથમિકતા આપી

આ દરમિયાન, રિન્કુ સિંહ પણ ઝિમ્બાબ્વે સામેની મૅચ પહેલા ટીમમાં ફરી જોડાવા માટે તૈયાર છે. તેણે ફૅમિલી ઈમરજન્સીને કારણે ટીમ કૅમ્પ છોડી દીધો હતો. તેના પિતા સ્ટેજ 4 લીવર કૅન્સરથી હૉસ્પિટલમાં દાખલ છે અને વૅન્ટિલેટર સપોર્ટ પર છે. ટીમના મુખ્ય કોચ સિતાંશુ કોટકે મૅચ પહેલાની પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "રિન્કુ સિંહ કૌટુંબિક કારણોસર પ્રૅક્ટિસ સૅશનમાં હાજરી આપી રહ્યો નથી. તેના પિતાની તબિયત સારી નથી. તે ટૂંક સમયમાં ટીમમાં જોડાશે." રિન્કુ મંગળવારે ઘરે પરત ફર્યો અને મંગળવાર અને બુધવારે પ્રૅક્ટિસમાં ભાગ લીધો નહીં. જોકે, તે સમયસર ચેન્નઈ પહોંચી જશે અને ઝિમ્બાબ્વે સામેની મૅચમાં ટીમની પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. રિન્કુ સિંહે T20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી ભારતની બધી મૅચ રમી છે, જેમાં કુલ 24 રન બનાવ્યા છે. તે ટીમમાં ફિનિશરની ભૂમિકા ભજવે છે અને અંતિમ ઓવરોમાં બૅટિંગ કરે છે. તે એક સારો ફિલ્ડર પણ છે. તેથી, તેની વાપસી ટીમ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભારત માટે કરો યા મરો મૅચ છે, અને ટીમ કોઈપણ કિંમતે જીતવા માગશે.

rinku singh abhishek sharma axar patel t20 world cup indian cricket team cricket news chennai sports sports news