વિસ્ફોટક રિષભ પંતની વાપસી માટે તેને કૅપ્ટન્સીના પ્રેશરમાંથી મુક્ત કરવો જોઈએ : સુનીલ ગાવસકર

06 May, 2026 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૯ મૅચમાં માત્ર બે જીત, ૭ હાર અને -૧.૦૭૬ના નેટ રનરેટ સાથે ટીમ સૌથી કંગાળ પ્રદર્શન કરી રહી છે.

રિષભ પંત અને સુનીલ ગાવસકર

IPLના રેકૉર્ડ ૨૭ કરોડ રૂપિયાના ખેલાડી રિષભ પંતની આગેવાનીમાં લખનઉની ટીમ વર્તમાન સીઝનમાં તળિયાની ટીમ છે. ૯ મૅચમાં માત્ર બે જીત, ૭ હાર અને -૧.૦૭૬ના નેટ રનરેટ સાથે ટીમ સૌથી કંગાળ પ્રદર્શન કરી રહી છે. પ્રિન્સ યાદવ (૧૩ વિકેટ) અને મોહસિન ખાન (૧૦ વિકેટ) લખનઉ તરફથી સીઝનના ટૉપ-૨૦ બોલરના લિસ્ટમાં સામેલ છે, જોકે ટૉપ-૨૦ બૅટર્સના લિસ્ટમાં લખનઉનો એક પણ બૅટર સામેલ નથી. રિષભ પંતની આગેવાનીમાં લખનઉની ટીમે ૨૦૨૫થી ૨૩ મૅચમાંથી માત્ર ૮ જીત મેળવી છે. એક સુપર ઓવર મૅચ સહિત ૧૫ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ૨૭ કરોડ રૂપિયાની સૅલેરી અને કૅપ્ટન્સીના ભારને કારણે રિષભ પંત લખનઉ માટે ૨૩ મૅચમાં ૧૩૧.૦૨ના સ્ટ્રાઇક-રેટથી ૧ સદી અને ૨ ફિફ્ટીની મદદથી ૪૭૩ રન જ કરી શક્યો છે. સુનીલ ગાવસકર કહે છે કે ‘લખનઉના માલિક સંજીવ ગોયનકા ઇચ્છે છે કે રિષભ તેમના માટે ૧૦-૧૫ વર્ષ રમે અને ટ્રોફી જીતીને ટીમને સૌથી સફળ બનાવે. દરેક વ્યક્તિ એવી જ અપેક્ષા રાખે છે. જોકે તમારે ખેલાડી પરથી પ્રેશર દૂર કરવું જોઈએ. આગામી સીઝન તેમણે નિર્ણય લેવો જોઈએ કે રિષભ પંતને કૅપ્ટન તરીકે જાળવી રાખવો છે કે તેને ફ્કત બૅટિંગ પર ફોકસ કરવાની તક આપવામાં આવે. આપણે બધા ક્રિકેટર તરીકે તેની ક્ષમતાથી સારી રીતે વાકેફ છીએ. પ્રેશરમાંથી મુક્ત કરીને તેને સ્વતંત્રતાથી રમવા દેવો જોઈએ.’

lucknow super giants Rishabh Pant IPL 2026 sunil gavaskar sports news sports cricket news