ક્રિકેટમાં કૌશલ્યની સાથે ધીરજની પણ કસોટી થાય છે અને તેં એ બન્નેને સારી રીતે સંભાળ્યાં

25 May, 2026 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત ૧૩ મૅચમાં ડગઆઉટમાં બેઠા બાદ સીઝનના અંતે લખનઉ માટે પહેલી મૅચ રમનાર અર્જુન માટે સચિન તેન્ડુલકરે લખ્યું...

અર્જુન તેન્ડુલકર અને સચિન તેન્ડુલકર

૨૬ વર્ષના ઑલરાઉન્ડર અર્જુન તેન્ડુલકરને શનિવારે સીઝનના અંતમાં નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમવાની તક મળી હતી. તેણે આઠમા ક્રમે બૅટિંગ કરીને પાંચ બૉલમાં અણનમ પાંચ રન કર્યા હતા. આ ડાબોડી ફાસ્ટ બોલરે ૪ ઓવરમાં ૩૬ રન આપીને પ્રભસિમરન સિંહને LBW આઉટ કર્યો હતો.

આ મૅચમાં અગાઉ પણ અર્જુને પ્રભસિમરન સિંહને આઉટ કરવાની તક ઊભી કરી હતી, પણ વિકેટકીપર રિષભ પંતે કૅચ ડ્રૉપ કર્યો હતો. IPLમાં અર્જુન તેન્ડુલકર અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ માટે ૨૦૨૩ અને ૨૦૨૪માં પાંચ મૅચ રમ્યો હતો અને ત્રણ વિકેટ લીધી હતી.

સતત ૧૩ મૅચમાં ડગઆઉટમાં બેઠા બાદ સીઝનના અંતે રમનાર અર્જુન માટે તેના પપ્પા અને ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું, ‘શાબાશ અર્જુન. આ સીઝનમાં તેં જે રીતે વર્તન કર્યું છે એના પર મને ગર્વ છે. હંમેશાં તારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખીને, ધીરજ રાખીને, શાંતિથી સખત મહેનત કરીને છેલ્લી મૅચ સુધી તકની રાહ જોવી પડી હોવા છતાં તું સકારાત્મક રહ્યો. ક્રિકેટમાં કૌશલ્યની સાથે ધીરજની પણ કસોટી થાય છે અને તેં આ બન્નેને સારી રીતે સંભાળ્યાં. તારા પગ જમીન પર મજબૂત રાખજે અને હંમેશની જેમ રમતને પ્રેમ કરતો રહેજે. લવ યુ.’

arjun tendulkar sachin tendulkar IPL 2026 cricket news sports news