સૂર્યકુમાર યાદવની હકાલપટ્ટી જાતિગત કારણસર જય શાહના ઇશારે જ થઈ છે

11 June, 2026 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતા આશુતોષ સિંહાનો ચોંકાવનારો આરોપ...

આશુતોષ સિંહા, જય શાહ

આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થવાની છે અને દરેક પાર્ટીએ એની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક પાર્ટી એકબીજા પર હુમલો કરવાની એક પણ તક ચૂકવા નથી માગતી. આ જ કારણે સમાજવાદી પાર્ટીએ સૂર્યકુમાર યાદવને T20 ક્રિકેટ ટીમના કૅપ્ટન અને ટીમમાંથી ડ્રૉપ કરવાના મામલાને PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક) સાથે જોડીને તેમ જ એમાં જય શાહને સામેલ કરીને મુખ્ય હરીફ ભારતીય જનતા પાર્ટી પર સૌથી મોટો હુમલો કર્યો છે.

સમાજવાદી પાર્ટીના નેતા અને વિધાન પરિષદના સભ્ય આશુતોષ સિંહાએ સૂર્યકુમાર યાદવને હટાવવાના નિર્ણયને જાતીવાદ સાથે જોડીને ક્રિકેટ બોર્ડ પર ગંભીર આરોપ લાગવી દીધો છે. તેમનો આરોપ છે કે સૂર્યકુમાર પછાત ગણાતી જાતિનો હોવાના કારણે હટાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહના ઇશારે આમ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે.

આશુતોષ સિંહાએ આ બાબતે કહ્યું હતું કે ‘આખરે એવું તે શું કારણ છે કે સારા પ્રદર્શન છતાં સૂર્યકુમાર યાદવ પાસેથી કૅપ્ટન્સી છીનવી લેવામાં આવી. ફક્ત PDA સમાજનો હોવાથી તેને આ સજા મળી છે. જો તે આ સમાજનો ન હોત તો તેની સાથે આવો ભેદભાદ ન થયો હોત. આ સંપૂર્ણ નિર્ણય દેશના ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહને ઇશારે લેવામાં આવ્યો છે. હવે દેશની ક્રિકેટ-ટીમના સિલેક્શન અને કૅપ્ટન વિશેના નિર્ણયમાં જાતિગત રાજનીતિ અને ભેદભાવ હાવી થઈ ગયા છે, જે દેશના હોનહાર ખેલાડીઓના ભવિષ્ય સાથે સૌથી મોટો ખિલવાડ છે.’

ત્રણ મહિના પહેલાં જ સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સી હેઠળ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પણ એક બૅટર તરીકે તેના સતત નબળા પર્ફોર્મન્સ અને ૨૦૨૮ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને સિલેક્ટરોએ તેને હટાવીને શ્રેયસ ઐયરને ટીમની જવાબદારી સોંપી છે. 

suryakumar yadav uttar pradesh samajwadi party cricket news sports news