Arjun Tendulkarને કેમ ન મળી MIની પ્લેઇંગ 11માં જગ્યા? કોચે કર્યો મોટો ખુલાસો

03 June, 2022 05:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટીમ પ્લેઑફમાં પણ પહોંચી શકી નહીં. તેમ છતાં આખી ટૂર્નામેન્ટમાં સચિન તેંદુલકરના દીકરા અર્જુન તેંદુલકરને તક મળી નથી. હવે મુંબઈ ઇન્ડિયન્સની બૉલિંગને લઈને કૉચે પોતે આ ખુલાસો કર્યો છે.

અર્જુન તેંદુલકર (ફાઈલ તસવીર)

મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) માટે આઇપીએલ 2022 (IPL 2022)નો સમય કોઈ ખરાબ સપના કરતાં સહેજેય ઓછો નહોતો. ટીમ પ્લેઑફમાં પણ પહોંચી શકી નહીં. તેમ છતાં આખી ટૂર્નામેન્ટમાં સચિન તેંદુલકરના દીકરા અર્જુન તેંદુલકરને તક મળી નથી. હવે મુંબઈ ઇન્ડિયન્સની બૉલિંગને લઈને કૉચે પોતે આ ખુલાસો કર્યો છે.

કોચે આપ્યું આ નિવેદન
મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની બૉલિંગના કોચ શેન બૉન્ડે કહ્યું કે હાલ તેને હજી થોડું વધારે કમ કરવાનું છે. મુંબઈ ઇન્ડિયન્સની સ્ક્વૉડમાં પસંદગી થવી જુદી વાત છે, પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન કમાવવું પડે છે. હજી તેને વધારે મહેનત કરવાની જરૂર છે. અર્જુને પોતાની બેટિંગ અને ફિલ્ડિંગમાં સુધારો લાવવાનો રહેશે. આ પહેલા સચિન તેંદુલકર પોતે માની ચૂક્યો છે કે અર્જુન તેંદુલકરને હજી વધારે મહેનત કરવાની છે.

મેગા ઑક્શનમાં ઉઘડ્યા નસીબ
અર્જુન તેંદુલકર (Arjun Tendulkar)ને આઇપીએલ મેગા ઑક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 22 વર્ષનો અર્જુન આખી સીઝનમાં પ્લેઇંગ 11માં સ્થાન મેળવવા માટે રાહ જોતો રહ્યો. અર્જુન પોતાની બૉલિંગ માટે જાણીતો છે. અર્જુનને આઇપીએલમાં રમતો જોવા માટે ચાહકોએ આગામી આઇપીએલની સીઝનની રાહ જોવી પડશે. અર્જુન તેંદુલકરને મુંબઈની રણજી ટીમમાં જગ્યા મળી છે અને તે મુંબઈ માટે ટી20 ક્રિકેટ રમી ચૂક્યો છે.

મુંબઈ પાંચ વાર જીતી ચૂકી છે ખિતાબ
મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માની આગેવાનીમાં પાંચ વાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે, પણ આઇપીએલ 2022માં મુંબઈ ઇન્ડિયન્સે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. ટીમને પહેલી સતત 8 હાર સહેવી પડી. ત્યાર બાદ ટીમ પ્લેઑફની રેસમાંથી પણ બહાર થઈ ગઈ. મુંબઈ માટે કોઈપણ બૉલર કે બેટર સારું રમી શક્યો નહીં.

ipl 2022 cricket news sports news sports arjun tendulkar sachin tendulkar