બીજાં લગ્ન બાદ અંગત જીવન વિશે ખોટા દાવા કરતી સોશ્યલ મીડિયા પોસ્ટ વાઇરલ થઈ એને પગલે શિખર ધવને કહ્યું...

25 February, 2026 11:52 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મારું નામ કલંકિત ન કરો, ચાલો પ્રેમ અને સકારાત્મકતા ફેલાવીએ, હું મેદાન કે એની બહાર ક્યારેય ભૂતકાળનો બોજ લઈને નથી ચાલતો

શિખર ધવન

આયરલૅન્ડમાં જન્મેલી સોફી શાઇન સાથે ધામધૂમથી લગ્ન કર્યા બાદ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવનને એક ખરાબ અનુભવનો સામનો કરવો પડી રહ્યો છે. ઑક્ટોબર ૨૦૨૩માં પોતાની ભૂતપૂર્વ પત્ની આયેશા મુખરજીથી અલગ થનાર શિખર ધવનના અંગત જીવન વિશે સોશ્યલ મીડિયા પર ઘણી પોસ્ટ વાઇરલ થઈ રહી છે. આ મુદ્દે શિખર ધવને હાલમાં એક નિવેદન જાહેર કરવાની ફરજ પડી હતી. 
૪૦ વર્ષના શિખર ધવને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ‘મને સોશ્યલ મીડિયા પર કેટલીક પોસ્ટ મળી છે જે મારા અંગત જીવન વિશે નિરાશાજનક નિવેદનો આપે છે. મેં ક્યારેય ભૂતકાળનો બોજ ઉપાડ્યો નથી, પછી ભલે એ મેદાન પર હોય કે બહાર. હું મારા ભૂતકાળનો આદર કરું છું અને સકારાત્મકતાની શક્તિમાં દૃઢપણે વિશ્વાસ રાખું છું.’ 

શિખરે વધુમાં લખ્યું હતું કે ‘આ મારા જીવનનો એક નવો અધ્યાય છે. મારા ચાહકો, મિત્રો, પરિવાર, શુભેચ્છકો અને મીડિયા તરફથી મને મળેલા પ્રેમ અને આશીર્વાદ માટે હું ખરેખર આભારી છું. હું લોકોને ભારપૂર્વક વિનંતી કરું છું કે સોશ્યલ મીડિયા પર લોકોની લાઇક મેળવવા અસંવેદનશીલ અને ખોટાં નિવેદનોથી મારું નામ કલંકિત ન કરો. ચાલો, પ્રેમ અને સકારાત્મકતા ફેલાવીએ.’

કઈ વાઇરલ પોસ્ટને કારણે શિખર ધવને આપવું પડ્યું નિવેદન?

આ વાઇરલ પોસ્ટ શિખર ધવનની પહેલી પત્ની આયેશા મુખરજી સાથે જોડાયેલી હોવાથી શિખર ધવનને નિવેદન આપવાની ફરજ પડી હતી. આ પોસ્ટમાં શિખર ધવનને એવું કહેતો દર્શાવ્યો છે કે ‘મારી ભૂતપૂર્વ પત્નીએ એક વાર કહ્યું હતું કે આપણા અલગ થયા પછી કોઈ તારી સાથે લગ્ન કરશે નહીં.’ પોસ્ટમાં સૂચવવામાં આવ્યું હતું કે શિખર ધવને બીજાં લગ્ન કરીને તેની ભૂતપૂર્વ પત્નીને જોરદાર જવાબ આપ્યો છે. જોકે શિખર ધવને આવું નિવેદન આપ્યાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

shikhar dhawan celebrity wedding social media cricket news sports news sports