25 July, 2026 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલી મૅચમાં ટૉસ જીતી ગયા બાદ ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિંકદર રઝા સાથે હાથ મિલાવી રહેલો ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર. તે સતત આઠ ટૉસ જીત્યો છે.
મુંબઈકર શ્રેયસ ઐયરને ભલે પોતાની આઠમી મૅચમાં પહેલી જીત મળી પણ તે આ દરેક મૅચમાં ટૉસ જીતી રહ્યો હતો. કૅપ્ટન તરીકે ડેબ્યુ કર્યા બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ ૮ ટૉસ જીતવા મામલે તેણે ઇંગ્લૅન્ડના વૉલી હૅમન્ડના ૮૮ વર્ષ જૂના રેકૉર્ડની બરાબરી કરી છે.
કૅપ્ટન તરીકે ડેબ્યુ કર્યા બાદ સતત ૮ T20 મૅચમાં ટૉસ જીતનાર શ્રેયસ ઐયર પહેલો કૅપ્ટન બન્યો છે. અગાઉ બહામાસ દેશનો ગ્રેગરી ટેલર સતત ૭ ટૉસ જીત્યો હતો. ભારતીય T20 કૅપ્ટન તરીકે સતત સૌથી વધુ ટૉસ જીતવાને મામલે શ્રેયસ ઐયરે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકૉર્ડ તોડ્યો હતો. મે ૨૦૧૦થી ફેબ્રુઆરી ૨૦૧૨ દરમ્યાન ભારતના T20 કૅપ્ટન તરીકે ધોનીએ સતત ૭ ટૉસ જીત્યા હતા.
૪૮ કલાકમાં બૅક-ટુ-બૅક બે T20 મૅચ રમાશે ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે
ભારતીય ક્રિકેટ ફૅન્સ માટે આ વીકેન્ડ બ્લૉકબાસ્ટર બનશે. ભારતીય ટીમ ૪૮ કલાકમાં બૅક-ટુ-બૅક બે T20 મૅચ રમતી જોવા મળશે. આજે શનિવારે ૨૫ જુલાઈએ અને આવતી કાલે રવિવારે ૨૬ જુલાઈએ ભારતીય સમય અનુસાર સાંજે ૪.૩૦ વાગ્યે સિરીઝની અંતિમ બે મૅચો રમાશે.
સીમિત દિવસોની વિન્ડો અને વેન્યુની ઉપલબ્ધતાને કારણે આ રીતે બૅક-ટુ-બૅક મૅચો રાખવામાં આવતી હોય છે. આ બન્ને મૅચ પહેલી મૅચની જેમ હરારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ રમાશે. બન્ને ટીમ વચ્ચે ચાર T20 સિરીઝ રમાઈ છે એમાંથી ભારત ત્રણ સિરીઝ જીત્યું છે. ૨૦૧૫ની એક સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી.