21 July, 2026 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચ દરમ્યાન ગુરનૂર બરાડ સાથે વાતચીત કરી રહેલો કૅપ્ટન શુભમન ગિલ. બરાડે ૧૦ ઓવરમાં ૯૭ રન આપી દીધા હતા.
ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં હાર બાદ ભારતીય વન-ડે કૅપ્ટન શુભમન ગિલે મોટું નિવેદન આપ્યું છે. શુભમન ગિલે કહ્યું કે જો તમે અમારી આ ટૂરની પહેલી વન-ડે સ્ક્વૉડની જાહેરાત જોશો તો ઓછામાં ઓછા પાંચ ખેલાડીઓ ત્રીજી વન-ડેમાં રમ્યા નહોતા.
પ્લેયર્સની વારંવારની ઇન્જરીઓને કારણે ટીમનું કૉમ્બિનેશન બગડ્યું એમ જણાવતાં શુભમન ગિલે કહ્યું હતું કે ‘વર્લ્ડ કપમાં અમારે સતત ૧૧ મૅચ રમવાની છે અને અહીં ખેલાડીઓ બે કે ત્રણ મૅચની સિરીઝ પણ પૂર્ણ કરી શકતા નથી. ચોક્કસપણે આ અમારા માટે સારા સંકેત નથી. એક જૂથ તરીકે અમારે અમારી ફિટનેસ સુધારવાની જરૂર છે.’
ઇંગ્લૅન્ડ માટે જે વન-ડે સ્ક્વૉડ જાહેર કરવામાં આવી હતી એમાંથી ઑલરાઉન્ડર્સ હાર્દિક પંડ્યા અને નીતીશ કુમાર રેડ્ડી એક પછી એક ઇન્જરીઓને કારણે બહાર થઈ ગયા. ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને વૉશિંગ્ટન સુંદર હૅમસ્ટ્રિંગ ઇન્જરીનો શિકાર બન્યા. જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઇન્જરીને કારણે અંતિમ મૅચમાં રમી નહોતો શક્યો. કૅપ્ટન શુભમન ગિલ પહેલી વન-ડેમાં સ્નાયુઓના ખેંચાણને કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો, જ્યારે ત્રીજી વન-ડે મૅચમાં પણ તેને મેદાન પર વારંવાર ફિઝિયોની જરૂર પડી હતી.
૨૬ વર્ષના શુભમન ગિલની આગેવાનીમાં ભારત ૧૧ વન-ડેમાંથી ૬ મૅચ જીત્યું છે અને પાંચ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને તે ચારમાંથી માત્ર એક વન-ડે સિરીઝ જિતાડી શક્યો છે. ઑક્ટોબર ૨૦૨૫માં ઑસ્ટ્રેલિયા સામે એની ધરતી પર ૧-૨, જાન્યુઆરી ૨૦૨૬માં ન્યુ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે ૧-૨ અને હવે ઇંગ્લૅન્ડ સામે એની ધરતી પર ૧-૨થી હારનો સામનો કરવો પડ્યો છે. ભારત જૂન ૨૦૨૬માં અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ૩-૦થી વન-ડે સિરીઝ જીતવામાં સફળ રહ્યું હતું.