ટેસ્ટ-મૅચ ત્રણ નહીં પણ પાંચ દિવસમાં જીતવી જોઈએ, સારી પિચ પર રમો અને પોતાના લોકો પર ભરોસો રાખો

18 November, 2025 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલકત્તા ટેસ્ટ-મૅચમાં કારમી હાર બાદ ગૌતમ ગંભીરને સૌરવ ગાંગુલીનો કડક સંદેશ

ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર

ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળ (CAB)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીરને કડક સંદેશ આપ્યો છે. તેણે ઘરઆંગણે પ્રભુત્વ મેળવવા માટે પિચ સાથે ચેડાં કરવાનું બંધ કરવા અને પહેલાંથી જ કાર્યરત વિશ્વ કક્ષાના બોલિંગ આક્રમણ પર આધાર રાખવા વિનંતી કરી હતી. ગૌતમ ગંભીરે પિચ ક્યુરેટરને પહેલા ચાર દિવસ ઈડન ગાર્ડન્સની પિચ પર પાણી ન છાંટવાની સૂચના આપી હતી જેને કારણે પિચ પર ખતરનાર ટર્ન જોવા મળી રહ્યો હતો.

ભારતના ભૂતપૂર્વ  કૅપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ‘સારી પિચ પર રમો. મને આશા છે કે ગૌતમ ગંભીર મને સાંભળશે. મારી પાસે તેના માટે પુષ્કળ સમય છે. મને ગૌતમ ખૂબ ગમે છે. તે કોચ તરીકે સારું કામ કરી રહ્યો છે, પરંતુ સારી પિચ પર રમવું પડશે. તેણે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી પર વિશ્વાસ કરવો પડશે. સારી પિચ પર જ રમો, પોતાના લોકો પર વિશ્વાસ રાખવો પડશે અને ટેસ્ટ-મૅચ ત્રણ નહીં પણ પાંચ દિવસમાં જીતવી જોઈએ.’ 

test cricket india indian cricket team team india gautam gambhir sourav ganguly cricket news sports sports news