12 June, 2026 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક શર્મા
અભિષેક શર્મા હાલમાં આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડની આગામી ટૂરની તૈયારીમાં વ્યસ્ત છે. તેણે ગઈ કાલે મંદિરમાં ધ્યાન-સાધના કરતાં કેટલાક ફોટો શૅર કર્યા હતા. તે તામિલનાડુના કુંભકોણમસ્થિત ઐતિહાસિક શિવમંદિરમાં દર્શન કરી રહ્યો હતો.
માન્યતા અનુસાર અહીંના મંદિરમાં ભગવાન રામે ૧૦૮ શિવલિંગ સ્થાપિત કર્યાં હતાં. અભિષેક શર્મા ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી આ ૧૦૮ શિવલિંગ સામે ધ્યાન ધરતો જોવા મળ્યો હતો. IPL 2026માં તેણે ૧૫ મૅચમાં ૧ સદી અને ચાર ફિફ્ટીની મદદથી ૫૬૩ રન કર્યા હતા.
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડનો આવતા મહિને શ્રીલંકા-ટૂર માટે ભારતની અન્ડર-19 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂર પર ભારત ત્રણ વન-ડે અને બે ચાર-દિવસીય મૅચો રમશે. આ ટીમની કમાન મધ્ય પ્રદેશનો યશવર્ધન સિંહ ચૌહાણ સંભાળશે, જ્યારે ઉત્તરાખંડના લક્ષ્ય રાયચંદાનીને વાઇસ-કૅપ્ટનની જવાબદારી મળી છે.
૧૭ વર્ષનો અન્વય દ્રવિડ જમણા હાથનો બૅટ્સમૅન અને વિકેટકીપર છે. અન્વયે હાલમાં ૬ મૅચમાં ૨૨૦ રન ફટકારીને કર્ણાટકની અન્ડર-19 ટીમને વિનુ માંકડ ટ્રોફીના ક્વૉર્ટર-ફાઇનલમાં પહોંચાડી હતી. દ્રવિડનો મોટો દીકરો સમિત દ્રવિડ હાલમાં ૨૦ વર્ષનો છે. તેને ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયા સામે રમવા માટે અન્ડર-19 ટીમમાં સ્થાન મળ્યું હતું. જોકે ઘૂંટણની ઇન્જરીને કારણે તે બહાર થઈ ગયો હતો.
યજમાન વેસ્ટ ઇન્ડીઝ સામે ૧-૦થી ત્રણ વન-ડે મૅચની સિરીઝ જીતનાર શ્રીલંકા આજથી આ હરીફ સામે ત્રણ T20 મૅચની સિરીઝ રમવા ઊતરશે. બન્ને ટીમ વચ્ચે ઑક્ટોબર ૨૦૨૪ બાદ પહેલી વખત T20 મૅચ રમાશે. શ્રીલંકાની ટીમ છેલ્લે વેસ્ટ ઇન્ડીઝના ઘરઆંગણે વર્ષ ૨૦૨૧માં T20 સિરીઝ રમ્યું હતું. જોકો જમૈકાના મેદાન પર બન્ને ટીમ પહેલી વખત સામસામે T20 મૅચ રમશે.
બન્ને ટીમ વચ્ચે વર્ષ ૨૦૧૫થી ૨૦૨૪ વચ્ચે ચાર T20 સિરીઝ રમાઈ હતી. એમાંથી પહેલી સિરીઝ ડ્રૉ રહી હતી. ૨૦૨૦ અને ૨૦૨૧ની સિરીઝ વેસ્ટ ઇન્ડીઝ જીત્યું હતું અને ૨૦૨૪ની સિરીઝમાં શ્રીલંકાએ પહેલી વખત જીત નોંધાવી હતી. વર્ષ ૨૦૦૯થી બન્ને વચ્ચે રમાયેલી ૧૮ T20 મૅચમાંથી શ્રીલંકા ૧૦ અને વેસ્ટ ઇન્ડીઝ ૮ મૅચ જીત્યું છે.