31 August, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસ્કર
ટેસ્ટ-ક્રિકેટમાં પણ બોલરો નો-બૉલ ફેંકવાની ભૂલ વારંવાર કરી રહ્યા છે. એને અટકાવવા માટે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે ‘મિડ-ડે ઇંગ્લિશ’ની પોતાની કૉલમમાં ટીમ-મૅનજમેન્ટ માટે એક અનોખું અને રસપ્રદ સૂચન કર્યું છે.
સુનીલ ગાવસકર કહે છે કે ‘ભારતીય ટીમના સ્પિન કોચે મજાકમાં સૂચન કર્યું હતું કે નો-બૉલ પછી ફ્રી હિટ આપવાથી આ ભૂલ અટકાવવામાં મદદ મળી શકે છે, પરંતુ કૃપા કરીને ટેસ્ટ-ક્રિકેટમાં બૅટ્સમૅન માટે આવી પેનલ્ટી સાથે રન-સ્કોરિંગને વધુ સરળ ન બનાવીએ. એના બદલે દરેક વારંવારના ગુના માટે દંડ બમણો કેમ ન કરવો અને બોલિંગ-કોચ પર એ રકમનો અડધો દંડ પણ કેમ ન વસૂલવામાં આવે?’
સુનીલ ગાવસકર વધુમાં કહે છે કે ‘એકત્રિત દંડની રકમનો ઉપયોગ ખેલાડીઓના વિદાય પહેલાં ટીમ-ડિનર માટે થઈ શકે છે. અન્ય પ્રકારના દંડ પણ હોઈ શકે છે, જેમ કે થ્રોને બૅકઅપ કરવામાં નિષ્ફળ જવા અથવા મેદાન પર અન્ય ફરજોની અવગણના કરવા બદલ. આ કિસ્સાઓમાં દંડ લાદવો કે નહીં એ વિશે આખી ટીમ મત આપી શકે છે. આ એક મનોરંજક પ્રવૃત્તિ હોઈ શકે છે અને ટીમની મિત્રતાને વધુ સુધારી શકે છે.’