16 May, 2026 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તિલક વર્મા અને રોહિત શર્મા
ધરમશાલામાં પંજાબ સામે ૨૦૧ રનના સફળ ટાર્ગેટ-ચેઝમાં મુંબઈનો તિલક વર્મા ૩૩ બૉલમાં અણનમ ૭૫ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. છેલ્લી ત્રણ ઓવરમાં ૫૦ રનની જરૂર હતી એવી પરિસ્થિતિમાં તિલક વર્માએ તોફાની બૅટિંગ કરીને જીત અપાવી હતી.
તિલક વર્માએ શાનદાર જીત બાદ અલગ-અલગ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. તેણે બન્ને હાથથી ૪૫ નંબરનો ઉલ્લેખ કરીને જીત અને તોફાની બૅટિંગ રોહિત શર્માને સમર્પિત કરવાનો સંકેત કર્યો હતો.
૪૫ નંબરની જર્સી પહેરીને મેદાન પર ઊતરતા રોહિત શર્માએ જીત બાદ ડ્રેસિંગ રૂમમાં પોતાની બૅટિંગને ટેસ્ટ-ફૉર્મેટ જેવી ગણાવીને તિલક વર્માની પ્રશંસા કરી હતી. તિલક વર્માએ એક વિડિયોમાં ઉલ્લેખ કર્યો હતો કે આવી બૅટિંગ રોહિત શર્મા સાથેની એક દિવસ પહેલાંની ચર્ચાને કારણે જ થઈ છે.
તિલક વર્મા માટે વપરાયેલી ઓય અંધેરે કમેન્ટથી નારાજ થયો લક્ષ્મણ શિવરામક્રિષ્નન
ધરમશાલામાં મૅચ પહેલાં પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ‘ઓય અંધેરે’ કહીને તિલક વર્માના શ્યામ રંગ વિશે રમૂજ કરી હતી. સોશ્યલ મીડિયા પર આ બાબતે અર્શદીપ સિંહની ભારે ટીકા થઈ રહી છે. રંગભેદને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ માટે કૉમેન્ટરી છોડનાર લક્ષ્મણ શિવરામક્રિષ્નને અર્શદીપ સિંહ પણ પ્રતિબંધ મૂકવાની અને દંડ ફટકારવાની અપીલ કરી હતી.