12 June, 2021 06:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમતા પહેલા ખૂબ જ તૈયારી કરી રહી છે. ઇંગ્લેન્ડના સાઉથૈમ્પટનમાં 18થી 22 જૂન વચ્ચે થનારી મેચ પહેલા પ્લેઇંગ ઇલેવનને લઈને ખૂબ જ મથામણ થઈ રહી છે. પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે ભારતીય ટીમને આ મહત્વની મેચ પહેલા પ્લેઇંગ ઇલેવનને લઈને ખાસ સલાહ આપી છે.
સહેવાગે પીટીઆઇ સાથે વાત કરતા કહ્યું, "મને નથી ખબર કે 18 જૂનના વિકેટ કેવી હશે પણ એક વસ્તુ જેમાં હું હંમેશાં વિશ્વાસ રાખું છું તે એ કે તમારે તમારી તાકાત પર રમવું જોઇએ. જો ભારકીય ટીમ પાંચ મુખ્ય બૉલર સાથે ઉતરે છે તો તે ખૂબ જ સારી બાબત હશે કારણકે મને હજી પણ લાગે છે કે બે સ્પિનર ચોથા અને પાંચમા દિવસે ખૂબ જ કામ લાગશે."
વીરૂ માને છે કે જો તે અશ્વિન અને જાડેજા ટીમમાં હશે તો એક્સ્ટ્રા બૅટ્સમેનને રમાડવાની જરૂર પણ નહીં હોય. તેમણે કહ્યું, "બે સ્પિનર ભારતીય ટીમ માટે યોગ્ય રહેશે કારણકે અશ્વિન અને જાડેજા બન્ને ઑલરાઉન્ડરની ક્ષમતા ધરાવે છે. આથી તમારી બૅટિંગમાં પણ ઊંડાણ આવે છે. તમને છઠ્ઠા બૅટ્સમેન વિશે વિચારવું નથી પડતું જ્યારે આ બન્ને ટીમમાં હોય છે."
ન્યૂઝીલેન્ડની ફાસ્ટ બૉલિંગ જોડી બોલ્ટ અને સાઉથી વિશે સહેવાગે વખાણ કર્યા અને ભારતીય બૅટ્સમેનને સાવધાન રહેવા માટે કહ્યું. વીરૂએ કહ્યું, "એમાં તો કોઇ શંકા નથી કે ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉથીની જોડી ભારતીય ટીમ માટે પડકાર હશે. આ બન્ને બૉલર બૉલને બન્ને તરફ સ્પિન કરવાની ક્ષમતા ધરાવે છે અને જોડીમાં તો જબરજસ્ત બૉલિંગ કરે છે."