27 June, 2026 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમની નવી જર્સીમાં ફોટોશૂટ કરાવી રહેલો વૈભવ સૂર્યવંશી.
આયરલૅન્ડ સામેની T20 સિરીઝનો પ્રચાર ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીના ઇન્ટરનૅશનલ ડેબ્યુ તરીકે કરવામાં આવ્યો હતો. આ પ્રચારને કારણે જ બેલફાસ્ટની બન્ને T20 મૅચોની બધી ટિકિટ વેચાઈ ગઈ છે અને પહેલી મૅચમાં સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળ્યું હતું. જોકે પહેલી મૅચમાં વૈભવને ડેબ્યુની તક આપવામાં આવી નહોતી. નૅશનલ ઍન્થમ સમયે તે પહેલી વખત સિનિયર ટીમ સાથે મેદાન પર જોવા મળ્યો હતો.
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલની પ્લેઇંગ ઇલેવનમાંથી સંજુ સૅમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. ટીમમાં શ્રેયસ ઐયર, વૉશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ ક્રિષ્નાની વાપસી થઈ હતી.
સિરીઝના એક દિવસ પહેલાં ભારતના બૅટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું હતું કે ‘વૈભવ સૂર્યવંશી સારો પ્લેયર છે પણ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા ખેલાડી પાસેથી તક છીનવીને નવી વ્યક્તિને ડેબ્યુ ન કરાવી શકાય.’
કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ સમયે કહ્યું, ‘વૈભવ સારો ખેલાડી છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેને તક મળશે. હાલમાં અમારી પાસે સતત સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ ઉપલબ્ધ છે.’
વૈભવ સૂર્યવંશીએ ભારત માટે જર્સી નંબર ૩ કેમ પસંદ કરી?
વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી ઇન્ટરનૅશનલ સિરીઝ માટે જર્સી-નંબર ૩ પસંદ કર્યો છે. વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રૉયલ્સ માટે પહેલી સીઝનમાં ૧૨ નંબરની જર્સી પહેરી હતી. મમ્મીના કહેવા પર તેણે ૩ નંબર પસંદ કર્યો કારણ કે ૧ અને ૨ અંકનો સરવાળો ૩ થાય છે. ભારત માટે હરભજન સિંહ, સુરેશ રૈના અને યુઝવેન્દ્ર ચહલ ૩ નંબરની જર્સીમાં રમી ચૂક્યા છે.