કબડ્ડીમાં ભારત માટે વર્લ્ડ કપ જીતનાર ખેલાડી ઉદય ચૌટાનું નિધન

21 May, 2022 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉદય ચૌટા કર્ણાટક સરકાર દ્વારા સ્થાપિત પ્રતિષ્ઠિત એકલવ્ય પુરસ્કાર સિવાય અનેક રાજ્ય અને જિલ્લા સ્તરના સન્માનો પ્રાપ્ત કરનાર હતા

પ્રતીકાત્મક તસવીર

ભારતના ભૂતપૂર્વ કબડ્ડી ખેલાડી ઉદય ચૌટાનું ટૂંકી માદગી બાદ શનિવારે સવારે અવસાન થયું  છે. ઉદયે 2007 કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ વર્લ્ડ કપની ટ્રોફી ભારતે જીતી હતી. ઉદયની અચાનક વિદાયથી સમગ્ર રમતગમત જગતમાં શોકની લહેર છે.

ઉદય ચૌટા કર્ણાટક સરકાર દ્વારા સ્થાપિત પ્રતિષ્ઠિત એકલવ્ય પુરસ્કાર સિવાય અનેક રાજ્ય અને જિલ્લા સ્તરના સન્માનો પ્રાપ્ત કરનાર હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનું મૃત્યુ `બ્રેઈન હેમરેજ`ને કારણે થયું હતું અને તે છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા. કબડ્ડીના આટલા મોટા ખેલાડીની અચાનક વિદાય દરેક માટે આઘાતજનક છે.

જણાવી દઈએ કે ઉદય ચૌટાની મેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બંટવાલ તાલુકાના મણિ નજીક બડીગુડ્ડાના રહેવાસી ઉદય 2000 અને 2008 દરમિયાન ભારતીય કબડ્ડી ટીમના સભ્ય હતા. ઉદયે તેમની બે દાયકાની રમત કારકિર્દીમાં 100 થી વધુ રાષ્ટ્રીય અને 300 રાજ્ય સ્તરીય કબડ્ડી ટુર્નામેન્ટ રમી હતી. અહેવાલો મુજબ તે કોલેજકાળથી જ કબડ્ડી અને વોલીબોલ સહિતની રમતોમાં સક્રિય હતા. તેમણે ઇન્ટર-કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં મેંગ્લોર યુનિવર્સિટીની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

તેમણે વર્ષ 1993માં જુનિયર નેશનલ કબડ્ડી ટુર્નામેન્ટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે દક્ષિણ કન્નડ એમેચ્યોર કબડ્ડી એસોસિએશનના સંગઠન સચિવ તરીકે પણ કામ કર્યું હતું. ઉદયે પુત્તુરની સેન્ટ ફિલોમેના કોલેજમાંથી ડિગ્રી પૂર્ણ કરી હતી.

sports news