19 March, 2025 10:14 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
અર્ચના જાધવ
લાંબા અંતરની ભારતીય દોડવીર અર્ચના જાધવ પર જાન્યુઆરીમાં ડોપ-ટેસ્ટમાં નિષ્ફળ ગયા બાદ ગઈ કાલે ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વારંવાર યાદ અપાવવા છતાં અર્ચનાએ તેની નિષ્ફળ ડોપ-ટેસ્ટ સામે અપીલ કરી નહોતી જેના કારણે વર્લ્ડ ઍથ્લેટિક્સે માની લીધું હતું કે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે અને એથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વર્લ્ડ ઍથ્લેટિક્સના ઍથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ (AIU) અનુસાર ગયા વર્ષે ડિસેમ્બરમાં પુણે હાફ-મૅરથૉન દરમ્યાન લેવામાં અર્ચનાના સૅમ્પલમાં પ્રતિબંધિત પદાર્થની હાજરી જોવા મળી હતી.
જાન્યુઆરી ૨૦૨૫માં અર્ચનાના પર અસ્થાયી પ્રતિબંધ લાગ્યો હતો. પચીસ ફેબ્રુઆરીએ AIUને ઈ-મેઇલનો જવાબ ન આપીને અર્ચનાએ પ્રતિબંધના નિર્ણયનો આડકતરી રીતે સ્વીકાર કર્યો, પણ ત્રણ માર્ચ સુધી તેના તરફથી યોગ્ય જવાબ ન મળતાં સુનાવણી વગર તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.