07 June, 2021 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરભ ચૌધરી
ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશન (આઇઓએ)એ તાજેતરમાં કોરોનામાંથી સાજા થયેલા પાંચ ખેલાડીઓને વહેલી તકે પહેલી વૅક્સિન મુકાવી દેવા માટે જણાવ્યું છે. આ પાંચેપાંચ ખેલાડીઓ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ ચૂક્યા છે. આ યાદીમાં સિમરનજિત કૌર (૬૦ કિલોગ્રામ) એકમાત્ર બૉક્સર છે. જ્યારે અન્ય ચાર શૂટર્સ છે. શૂટર્સમાં ૧૯ વર્ષનો સૌરભ ચૌધરી પણ સામેલ છે, જે આ વર્ષે આઇએસએસએફ વર્લ્ડ કપમાં પુરુષોની ૧૦ મીટર ઍર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. અન્ય ત્રણ શૂટરોમાં રાહી સરનોબટ (મહિલાઓની ૨૫ મીટર પિસ્ટલ), દીપક કુમાર (૧૦ મીટર ઍર રાઇફલ) અને શૉટગન શૂટર મૈરાઝ અહમદ ખાનનો સમાવેશ છે. આઇઓએના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી ૧૨૦ સામાન્ય ખેલાડીઓ અને ૨૫ પૅરાલિમ્પિક ખેલાડીઓ પહેલો ડોઝ લઈ ચૂક્યા છે. ૬૨ ખેલાડીઓ એવા છે જેઓ બન્ને ડોઝ લઈ ચૂક્યા છે.