ટોક્યો પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર શરદ કુમારને આ હૃદય રોગનું નિદાન થયું

23 September, 2021 03:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પુરુષોની હાઇ જમ્પ ઇવેન્ટમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ શરદે ખુલાસો કર્યો હતો કે તે ઇવેન્ટની પૂર્વસંધ્યાએ ઇજાગ્રસ્ત થયો હતો.

શરદ કુમાર. તસવીર / પીટીઆઈ

ટોક્યો 2020 પેરાલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલ વિજેતા શરદ કુમારને હૃદયમાં સોજો હોવાનું નિદાન થયું છે. તેમને તાજેતરમાં દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. હાઈ જમ્પરને શરૂઆતમાં છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો અને પરીક્ષણો કરાયા હતા.

“મને ખબર નથી કે શું થયું, પણ મારા રિપોર્ટ દર્શાવે છે કે મારા હૃદયમાં સોજો છે અને હું પીડામાં છું. હું હોસ્પિટલમાં નિયમિત પરીક્ષણોથી કંટાળી ગયો છું અને હવે ઘરે જ છું, પણ મારે પરીક્ષણો માટે સમયાંતરે હોસ્પિટલ જવું પડશે.” શરદ કુમારે ANIને કહ્યું હતું.

પુરુષોની હાઇ જમ્પ ઇવેન્ટમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ શરદે ખુલાસો કર્યો હતો કે તે ઇવેન્ટની પૂર્વસંધ્યાએ ઇજાગ્રસ્ત થયો હતો.

“તે મારા માટે ખૂબ જ ખરાબ હતું, હું આખી રાત રડતો હતો. હકીકત એ છે કે હું મારા મેનિસ્કસ પર પડ્યો હતો અને તે ડિસલોકેટેડ થયું હતું. મેં વિચાર્યું પણ નહોતું કે હું ઇવેન્ટમાં ભાગ લઈ શકીશ, મેં સવારે મારા માતાપિતા સાથે આ બાબતે વાત કરી હતી અને કહ્યું હતું કે હું મારા કરેલા કેટલાક પાપની સજા ભોગવી રહ્યો છું.”

“મને ખબર નથી કે તે શું છે, એટલે કે જ્યારે મારા ભાઈ અને થોડા મિત્રોએ મને કહ્યું કે ફક્ત જા અને ભાગ લે, તેનાથી કોઈ ફરક પડતો નથી.” ઇવેન્ટ બાદ યુરોસ્પોર્ટ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ANIના પ્રશ્નનો જવાબ આપતા શરદે કહ્યું હતું.

શનિવારે શરદ સાથે શટલર પ્રમોદ ભગત, શૂટર મનીષ નરવાલ અને ભાલા ફેંકનાર સુંદર સિંહ ગુર્જરની પેરાલિમ્પિક્સ કમિટી ઓફ ઇન્ડિયા (PCI) દ્વારા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2021 માટે ભલામણ કરવામાં આવી હતી. તાજેતરમાં સમાપ્ત થયેલી ટોક્યો પેરાલિમ્પિક્સમાં ચારેય ભારત માટે મેડલ જીત્યા હતા.

sports news tokyo tokyo olympics 2020 all india institute of medical sciences