30 June, 2026 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘ચૌહાન’નું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું
અજય દેવગનની આગામી ઍક્શન ફિલ્મ ‘ચૌહાન’નું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝરનો અજય દેવગનનો ડાયલૉગ ‘પઠાનોં સે કહના ચૌહાન આ રહા હૈ’ ભારે વિવાદનું કારણ બન્યો છે. આ ડાયલૉગને લઈને કાશ્મીરમાં વિરોધ શરૂ થયો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે આ સંવાદમાં કાશ્મીરીઓને ‘પઠાન’ કહીને સંબોધવામાં આવ્યા છે જેનાથી તેમની લાગણી દુભાઈ છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે ક્ષત્રિય પરિષદે પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ પરથી નિવેદન જાહેર કર્યું છે. પરિષદે લખ્યું કે ‘ડિરેક્ટર નીરજ યાદવ અને અજય દેવગનની આગામી ફિલ્મ ‘ચૌહાન’માં વર્તમાન સાંપ્રદાયિક રાજકારણ માટે ‘ચૌહાન’ વંશના નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેની અમે કડક નિંદા કરીએ છીએ. રાજપૂત ઇતિહાસ કોઈ રાજકીય હથિયાર નથી. ચૌહાન વંશની વિરાસત રાજપૂત ઇતિહાસનો મહત્ત્વપૂર્ણ ભાગ છે, કોઈ રાજકીય નૅરેટિવ અથવા બહારની શક્તિઓ દ્વારા ઊભા કરાયેલા કૃત્રિમ વિવાદોનો નહીં. રાજપૂત ઓળખનો કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરવાનો દરેક પ્રયાસ અમે નકારી કાઢીએ છીએ.’
ક્ષત્રિય પરિષદે પોતાના નિવેદનમાં ફિલ્મનિર્માતાઓ, રાજકીય નેતાઓ અને મીડિયા સંસ્થાઓને અપીલ કરતાં જણાવ્યું કે ભારતના ઇતિહાસને જવાબદારીપૂર્વક રજૂ કરવો જોઈએ તેમ જ ઐતિહાસિક ઘટનાઓને સાંપ્રદાયિક વિભાજન અથવા રાજકીય ચર્ચાનો આધાર બનાવવાને બદલે એની જટિલતાઓનું સન્માન કરવું જોઈએ.