04 September, 2026 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષય કુમાર અને ફિલ્મમેકર પ્રિયદર્શન સાથે મળીને એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવાના રિપોર્ટ છે. આ એક કૉમિક થ્રિલર હશે જેના બૅકગ્રાઉન્ડમાં જંગલ અને વન્યજીવ સંરક્ષણ હશે. આ ફિલ્મની વાર્તા ૧૯૬૦ના દાયકાના ભારતમાં ગોઠવવામાં આવશે. એમાં અક્ષય કુમારનું પાત્ર પ્રખ્યાત શિકારીમાંથી વન્યજીવ સંરક્ષણવાદી બનેલા જિમ કૉર્બેટના જીવનથી પ્રેરિત હશે. જોકે ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક હોવાનું કહેવાય છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘ફિલ્મમાં અક્ષય એક કુશળ શિકારી અને ટ્રૅકરનું પાત્ર ભજવશે, જે બાળપણથી જ જંગલની ભાષા અને પ્રકૃતિને સમજતો હોય છે. શરૂઆતમાં તે પોતાના ગામને બચાવવા માટે માનવભક્ષી વાઘ અને દીપડાઓનો શિકાર કરે છે, પણ પછી તેની વિચારસરણીમાં મોટું પરિવર્તન આવે છે. શિકાર અને જંગલોના વિનાશની ભયાનક અસર સમજ્યા બાદ તે વન્યજીવ સંરક્ષણનો સમર્થક બની જાય છે અને પ્રાણીઓના કુદરતી આવાસને બચાવવાની લડત લડે છે. ‘હૈવાન’ની રિલીઝ બાદ પ્રિયદર્શન અને તેમની ટીમ રાજસ્થાન તથા ગુજરાતનાં જંગલોમાં લોકેશન શોધશે. ફિલ્મનું આખું શૂટિંગ જંગલોમાં એક જ સતત શેડ્યુલમાં પૂરું કરવાનું પ્લાનિંગ છે.’
મળતી માહિતી પ્રમાણે નિર્માતાઓ હાલ ફિલ્મ માટે મુખ્ય અભિનેત્રીની શોધમાં છે અને હજુ સુધી કોઈ કાસ્ટિંગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન આ વર્ષના ઑક્ટોબરમાં શરૂ થશે, જ્યારે શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીથી શરૂ થવાની શક્યતા છે.
જિમ કૉર્બેટનું મૂળ નામ એડવર્ડ જેમ્સ કૉર્બેટ હતું અને તેમનો જન્મ નૈનીતાલમાં થયો હતો. તેઓ બ્રિટિશ-ભારતીય શિકારી, ટ્રૅકર, પ્રકૃતિપ્રેમી અને લેખક હતા. ઉત્તર ભારતમાં અનેક માનવભક્ષી વાઘ અને દીપડાઓનો શિકાર કરીને તેઓ વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. જીવનના ઉત્તરાર્ધમાં જિમ કૉર્બેટ વન્યજીવ સંરક્ષણના મજબૂત હિમાયતી બન્યા અને ભારતનાં જંગલોને બચાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમના યોગદાનના સન્માનરૂપે ઉત્તરાખંડના ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ ૧૯૫૭માં બદલીને જિમ કૉર્બેટ નૅશનલ પાર્ક રાખવામાં આવ્યું હતું.