12 July, 2026 12:25 PM IST | Udaipur | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
હાલમાં અક્ષય કુમારે રાજસ્થાન વનવાસી કલ્યાણ પરિષદની પહેલ પર ઉદયપુરમાં જનજાતિ કન્યા છાત્રાલય માટે એક કરોડ રૂપિયાનું મોટું દાન આપ્યું છે. આ નવનિર્મિત હૉસ્ટેલનું નામ તેનાં સ્વર્ગસ્થ માતાની સ્મૃતિમાં ‘શ્રીમતી અરુણા ભાટિયા જનજાતિ કન્યા છાત્રાલય’ રાખવામાં આવ્યું છે અને એનું ભૂમિપૂજન હાલમાં જ સંપન્ન થયું છે. આ આધુનિક હૉસ્ટેલમાં એક સમયે ૩૦ જનજાતિ દીકરીઓ રહીને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે. આ પહેલ ઉદયપુર વિસ્તારની વનવાસી અને આદિવાસી દીકરીઓને સુરક્ષિત અને સંસ્કારયુક્ત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાની દિશામાં એક ખૂબ જ પ્રશંસનીય પગલું છે.
અક્ષય કુમારનું વનવાસી સમાજના શિક્ષણ માટે આ બીજું મોટું યોગદાન છે. આ પહેલાં પણ અક્ષયે વનવાસી કલ્યાણ પરિષદની પહેલ પર ઉદયપુરના ખેરવાડામાં એક કરોડ રૂપિયાનું ગુપ્ત દાન આપીને તેના પિતાની સ્મૃતિમાં ‘હરિઓમ જનજાતિ છાત્રાલય’ બનાવડાવ્યું હતું. ખેરવાડાની હૉસ્ટેલ શરૂ થયા પછી અક્ષય અચાનક જ ત્યાંના વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યો હતો અને તેમની સાથે સમય વિતાવ્યો હતો તેમજ આરતી-ભજનમાં પણ ભાગ લીધો હતો.