મેં તો પહેલાં જ રાજપાલ યાદવને ફિલ્મ પ્રોડ્યુસ ન કરવાની સલાહ આપી હતી

31 March, 2026 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેક બાઉન્સના કેસમાં ફસાયેલા ઍક્ટર પ્રત્યે અક્કીએ સહાનુભૂતિ વ્યક્ત કરી

ફિલ્મ ‘ભૂત બંગલા’માં રાજપાલ સાથે કામ કર્યું છે અક્ષય કુમારે

રાજપાલ યાદવ ચેક બાઉન્સના મામલામાં ગંભીર રીતે ફસાયો છે અને હજી સુધી એમાંથી બહાર આવી શક્યો નથી. રાજપાલ યાદવે ૨૦૧૦માં ‘અતા પતા લાપતા’ નામની એક ફિલ્મ બનાવવા માટે ઉધાર પૈસા લીધા હતા. ફિલ્મ બની અને રિલીઝ પણ થઈ, પરંતુ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ ગઈ જેને કારણે રાજપાલ યાદવ ઉધાર લીધેલા પૈસા પાછા આપી શક્યો નહોતો. હવે આ સમગ્ર મામલે અક્ષય કુમારે પ્રતિક્રિયા આપી છે.

ફિલ્મ ‘ભૂત બંગલા’માં રાજપાલ સાથે કામ કરી રહેલા અક્ષયે જણાવ્યું હતું કે તેણે પહેલાં જ રાજપાલને ફિલ્મ પ્રોડ્યુસ ન કરવાની સલાહ આપી હતી. આ સાથે અક્ષયે જણાવ્યું હતું કે દિગ્ગજ અભિનેતા અસરાનીએ મને બહુ મહત્ત્વની સલાહ આપી હતી અને હું આજે પણ એને અનુસરું છું.

અક્ષય કુમારે જણાવ્યું હતું કે ‘અસરાનીએ મને જીવનના અંતિમ દિવસોમાં મહત્ત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ક્યારેય ફિલ્મ પ્રોડ્યુસ ન કરવી. તેમણે મને કહ્યું હતું કે પોતાના ખિસ્સામાંથી પૈસા લગાવવા મારી સૌથી મોટી ભૂલ હતી. જો તમે બીજા લોકોના પૈસાથી ફિલ્મ બનાવો તો જોખમ અને નફો તેમનો હોય છે, પણ જ્યારે તમે પોતાના પૈસા લગાવો અને વધુ કમાણીની આશા રાખો ત્યારે એ ઘણી વાર ખોટું સાબિત થાય છે.’

અક્ષય કુમારે રાજપાલ યાદવના કેસ વિશે કહ્યું હતું કે ‘અમે ઍક્ટર્સ છીએ અને પ્રોડ્યુસરને ખબર હોય છે કે ફિલ્મ કેવી રીતે બનાવવી. જો તમને પ્રોડક્શન વિશે પૂરતું જ્ઞાન ન હોય તો પ્રોડ્યુસર બનવાની કોશિશ ન કરવી જોઈએ. જો તમે ઍક્ટર છો તો ઍક્ટર જ રહો, શૉર્ટકટ અપનાવીને ઝડપથી પૈસા કમાવાની કોશિશ ન કરો. મને આશા છે કે રાજપાલ આ મુશ્કેલીમાંથી બહાર આવી જશે. તે અદ્ભુત અભિનેતા છે.’

akshay kumar rajpal yadav entertainment news bollywood bollywood news