12 August, 2026 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈમરાન હાશ્મી
બૉલીવુડના સુપ્રસિદ્ધ સંગીતકાર આર. ડી. બર્મન (પંચમદા)ના જીવન પર બનવા જઈ રહેલી મ્યુઝિકલ બાયોપિકને લઈને હિન્દી સિનેમાજગતમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. નીરજ પાંડેના નિદર્શન હેઠળ આ બહુચર્ચિત ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને અવારનવાર નવી અટકળો સામે આવતી રહે છે. તાજેતરમાં જ અભિનેતા ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં દિવંગત હાસ્યકલાકાર મેહમૂદની ભૂમિકા ભજવશે એવી વાતો વહેતી થઈ હતી, પરંતુ હવે ઇમરાન હાશ્મીએ જાતે આ તમામ અફવાઓનો અંત આણી દીધો છે.
અહેવાલો અનુસાર આર. ડી. બર્મનના સંગીતમય જીવન પર આધારિત આ મોટા બજેટની ફિલ્મનું નિર્માણ કમલ જૈન અને એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા એટલે કે પંચમદાના પાત્રમાં અભિનેતા ફરહાન અખ્તર જોવા મળશે. આ ઉપરાંત સુપરસ્ટાર અક્ષય કુમાર પણ ફિલ્મમાં દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્નાના પાત્રમાં એક ખાસ ભૂમિકા ભજવશે એવા અહેવાલો છે.
ઉલ્લેખનીય છે કે આર. ડી. બર્મન અને રાજેશ ખન્નાની જોડીએ હિન્દી સિનેમાને અનેક અવિસ્મરણીય ગીતો આપ્યાં છે.
આ દરમ્યાન એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે પંચમદાના નજીકના મિત્ર એવા મેહમૂદનું પાત્ર ઇમરાન હાશ્મી ભજવશે. જોકે આ મુદ્દે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર સ્પષ્ટતા કરતાં ઇમરાન હાશ્મીએ લખ્યું હતું કે ‘હું સ્પષ્ટ કરવા માગું છું કે બાયોપિકમાં મારા દ્વારા મેહમૂદસાબનું પાત્ર ભજવવામાં આવી રહ્યું હોવાના અહેવાલો તદ્દન પાયાવિહોણા છે. આ ફિલ્મ માટે મારો સંપર્ક કરવામાં આવ્યો નથી અને હું આ પ્રોજેક્ટનો ભાગ નથી.’