01 July, 2026 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષય કુમારને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી વધુ સમય થઈ ગયો છે અને આજે પણ તે બૉલીવુડના સૌથી વ્યસ્ત સ્ટાર્સમાંથી એક છે. હાલમાં અક્ષયે પોતાની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ના પ્રમોશન વખતે તેના વિશે ફેલાયેલી ગેરસમજો તેમ જ સફળતા અને નિષ્ફળતામાંથી મળેલા પાઠ વિશે વાત કરી હતી. આ દરમ્યાન અક્ષયે પોતાના નિવૃત્તિના આયોજન અંગે પણ મૌન તોડતાં સ્પષ્ટ કહ્યું કે હાલમાં તેનો એવો કોઈ ઇરાદો નથી.
અક્ષય કુમારે પોતાની કરીઅરના પ્લાનિંગ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું વર્ષ દરમ્યાન અનેક પ્રોજેક્ટ્સ કરું છું છતાં દરેક ફિલ્મની રિલીઝ પહેલાં આજે પણ મને પહેલાં જેવી જ ગભરામણ થાય છે. જે દિવસે મને નવા પ્રોજેક્ટ્સ માટે ગભરામણ અથવા એક્સાઇટમેન્ટની લાગણી અનુભવાતી બંધ થઈ જશે એ દિવસે હું અભિનય છોડી દઈશ અને નિવૃત્ત થઈ જઈશ. આજે પણ દરેક ફિલ્મની રિલીઝ મને પરીક્ષાના પરિણામ જેવી જ લાગે છે.’