06 February, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ બાજપાઈની ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે
મનોજ બાજપાઈની નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ રિલીઝ પહેલાં જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મના ટાઇટલને લઈને દિલ્હી હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મનું શીર્ષક બ્રાહ્મણ સમુદાય પ્રત્યે અપમાનજનક છે. આ મુદ્દે હવે બ્રાહ્મણ સમાજના લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે અને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ કરી રહેલા લોકોની ડિમાન્ડ છે કે ફિલ્મના મેકર્સ સામે પોલીસ-ફરિયાદ નોંધવામાં આવે.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મનું ટાઇટલ અને એનું પ્રમોશન ‘પંડિત’ શબ્દ પરથી આવેલા ‘પંડત’ શબ્દને ઇરાદાપૂર્વક ભ્રષ્ટાચાર અને લાંચખોરી સાથે જોડે છે. અરજીકર્તા વકીલ વિનીત જિંદલે ફિલ્મની કન્ટેન્ટને સાંપ્રદાયિક રીતે અપમાનજનક અને માનહાનિકારક ગણાવીને ગંભીર વાંધો વ્યક્ત કર્યો છે તેમ જ આના કારણે બ્રાહ્મણ સમુદાયની ગૌરવ અને પ્રતિષ્ઠાને વ્યાપક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી છે. આ વાતને મુદ્દો બનાવીને તેણે નેટફ્લિક્સ પર ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગણી કરી છે.
ગઈ કાલે મધ્ય પ્રદેશના ભોપાલમાં અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજના સભ્યોએ ‘ઘૂસખોર પંડત’ ફિલ્મ સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું
આ અરજીમાં કેન્દ્ર સરકારને મુખ્ય પક્ષકાર બનાવવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર નિયંત્રણ રાખવું અને સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચાડે એવી કન્ટેન્ટનું સ્ટ્રીમિંગ રોકવું સરકારની જવાબદારી છે. આ મામલે અરજીકર્તાએ અદાલત પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. તેનું કહેવું છે કે ફિલ્મની રિલીઝ સામૂહિક માનહાનિ અને હેટ-સ્પીચ સમાન સાબિત થઈ શકે છે, જેને કારણે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થા બગડી શકે છે. અરજીમાં કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે કે ડિજિટલ અને OTT પ્લૅટફૉર્મ્સને નિયંત્રિત કરતા હાલના કાયદાઓ હેઠળ નેટફ્લિક્સ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
મનોજ બાજપાઈની ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના ટાઇટલને લઈને મથુરામાં બ્રજ વિસ્તારના સંતોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રજભૂમિના સાધુ-સંતોએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સામે મોરચો ખોલી દીધો છે અને ફિલ્મ પર તરત પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ ફલાહારી મહારાજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ના નામે ઇરાદાપૂર્વક બ્રાહ્મણ સમાજની છબિને ખરાબ ચીતરવામાં આવી રહી છે. ક્યારેક UGCના બહાને તો ક્યારેક દલિત અત્યાચારના બહાને બ્રાહ્મણ સમાજને નિશાન બનાવવામાં આવે છે. બ્રાહ્મણ સમાજે હંમેશાં હિન્દુસ્તાનને નવી દિશા આપી છે અને પ્રાચીન કાળમાં રાજા-મહારાજાઓ પણ ઋષિ-મુનિઓની સલાહ લેતા હતા.
દિનેશ ફલાહારી મહારાજે પત્રમાં વધુમાં કહ્યું છે કે ‘આ કલયુગમાં બ્રાહ્મણ સમાજને બદનામ કરવા માટે ‘ઘૂસખોર પંડત’ નામની ફિલ્મ બનાવવામાં આવી છે. અમારી ભારત સરકાર સમક્ષ માગણી છે કે આવા લોકો સામે દેશદ્રોહની કાર્યવાહી કરવામાં આવે અને આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે. જ્યાં સુધી મેકર્સ સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આવા લોકો માનશે નહીં.’