06 September, 2026 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હનુમાન અંશ
આધ્યાત્મિક વ્યક્તિત્વ નીમ કરોલી બાબાના જીવન અને ઉપદેશો પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ બૉક્સ-ઑફિસ પર સતત ધૂમ મચાવી રહી છે. ૭ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કોઈ સુપરસ્ટાર ન હોવા છતાં એ આ વર્ષની સૌથી મોટી સરપ્રાઇઝ હિટ સાબિત થઈ છે. ડૉ. વિશાલ ચતુર્વેદી દ્વારા લખાયેલી અને ડિરેક્ટર કરાયેલી આ ફિલ્મમાં શોભિનવ સત્યા અને ચંદન આનંદ નામના નવોદિત ઍક્ટર્સ જોવા મળે છે.
આ ફિલ્મ રિલીઝના પાંચમા સપ્તાહમાં પ્રવેશ્યા બાદ પણ એની કમાણી અટકવાનું નામ લઈ રહી નથી. શુક્રવારે આ ફિલ્મે ભારતીય બૉક્સ-ઑફિસ પર ૮.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને એની સાથે એનું ટોટલ કલેક્શન ૭૮ કરોડ રૂપિયા થઈ ગયું છે. ધારણા છે કે રવિવાર સુધીમાં આ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પ્રવેશી જશે.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી છે કે નીમ કરોલી બાબાના જીવન અને ઉપદેશો પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ને રાજ્યમાં ટૅક્સ-ફ્રી કરવામાં આવશે. પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે દેહરાદૂનના એક થિયેટરમાં પત્ની ગીતા ધામી અને કૅબિનેટના સાથીદારો સાથે ફિલ્મ નિહાળી હતી.
આ ફિલ્મ જોયા પછી મુખ્ય પ્રધાને કહ્યુંુ કે ‘‘હનુમાન અંશ’ જેવી ફિલ્મો રાજ્યના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દેશ અને દુનિયા સમક્ષ રજૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ દ્વારા લોકોને બાબા નીમ કરોલી મહારાજની તપસ્યા, ત્યાગ, સેવા અને ભગવાન હનુમાન પ્રત્યેની અડગ શ્રદ્ધાને જાણવાની અને સમજવાની તક મળી છે. તેમનું સમગ્ર જીવન માનવતાની સેવા, આધ્યાત્મિક સાધના અને સમાજના કલ્યાણ માટે સમર્પિત હતું. બાબા નીમ કરોલી મહારાજનું જીવન આપણને સંદેશ આપે છે કે ભક્તિ માત્ર સાધના નથી; સેવા, સમર્પણ અને માનવ કલ્યાણનો માર્ગ પણ છે. ‘હનુમાન અંશ’ની ટીમને આવી પ્રેરણાદાયી અને આધ્યાત્મિક ફિલ્મ બનાવવા બદલ અભિનંદન. બાબા નીમ કરોલી મહારાજનું કૈંચી ધામ હવે સમગ્ર દુનિયામાં આસ્થા અને શ્રદ્ધાના એક મોટા કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે.’