02 September, 2026 01:43 PM IST | Kathmandu | Gujarati Mid-day Online Correspondent
સોનુ સૂદની ફાઇલ તસવીર
બોલિવૂડ (Bollywood) અભિનેતા અને સામાજિક કાર્યકર સોનુ સૂદ (Sonu Sood) નેપાળ (Nepal)માં આવેલા વિનાશક પૂરના પીડિતોની મદદ માટે રાહત સામગ્રી સાથે કાઠમંડુ (Kathmandu) પહોંચ્યા છે. `સૂદ ચેરિટી ફાઉન્ડેશન` (Sood Charity Foundation) દ્વારા આ રાહત કાર્યનું નેતૃત્વ કરી રહેલા સોનુ સૂદે પૂરગ્રસ્ત (Nepal Flash Floods)પરિવારને લાંબા ગાળાની મદદ આપવાનું વચન આપતાં આશ્વાસન આપ્યું છે કે આગામી મહિનાઓમાં પણ મદદ સતત ચાલુ રહેશે જેથી તેઓ પોતાનું જીવન ફરી શરૂ કરી શકે.
નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા બાદ સોનુ સૂદ અને તેમની ટીમે ભારતથી લાવવામાં આવેલી ઈમરજન્સી રાહત સામગ્રીનું વિતરણ શરૂ કરી દીધું છે. પ્રાથમિક રાહત સામગ્રીમાં ધાબળા, સૂકો રાશન ખોરાક અને અસ્થાયી આશ્રયસ્થાનોમાં રહેતા વિસ્થાપિત પરિવારો માટે જરૂરી પ્રાથમિક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
અભિનેતા સોનુ સૂદે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમે અહીં પૂર પીડિતોને મળવા આવ્યા છીએ. અમે ભારતથી ઘણો સામાન લાવ્યા છીએ. અમે માત્ર જરૂરિયાતમંદ લોકોની સાથે ઊભા રહેવા માગીએ છીએ અને તેમનું જીવન ફરી પાટા પર લાવવાનો પ્રયાસ કરીશું.’ તેમણે ઉમેર્યું કે તેમની ટીમ વધારાની જરૂરિયાતો જાણી શકાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય સરહદો પારથી સામગ્રી પહોંચાડવામાં પડતી લોજિસ્ટિકલ પડકારોનો ઉલ્લેખ કરતાં અભિનેતા સોનુ સૂદે સ્પષ્ટ કર્યું હતું કે, આ રાહત કાર્ય માત્ર એક વાર પૂરતું સીમિત રહેશે નહીં. તેમની સંસ્થા સ્થાનિક સત્તાવાળાઓ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત સક્રિય રહેશે.
સોનુ સૂદે આગળ જણાવ્યું કે, ‘ભારતથી નેપાળ સામગ્રી મોકલવી એ કાગળની કામગીરીના કારણે થોડું પડકારજનક છે, પરંતુ અમે સુનિશ્ચિત કરીશું કે માત્ર આ મહિને જ નહીં પરંતુ આવનારા મહિનાઓમાં પણ રાહત સામગ્રી આવતી રહે જેથી અમે તેમનું જીવન ફરી ઊભું કરી શકીએ.’ સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરતાં તેમણે લખ્યું, ‘તેમણે તેમના ઘર, પરિવાર અને બાળપણ ગુમાવ્યું છે... પરંતુ સાથે મળીને અમે તેમને નવી શરૂઆત કરવામાં મદદ કરીશું. નેપાળ, તમે એકલા નથી.’
રસુવા અને નુવાકોટ સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને વિનાશક પૂર આવતાં મોટી માનવ ખુવારી થઈ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) ના સત્તાવાર આંકડા મુજબ આ કુદરતી આપત્તિમાં ૯૩૯ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૩,૯૨૫ લોકો હજુ પણ લાપતા છે.
આપત્તિના સમયે સોનુ સૂદ દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવેલી આ માનવતાવાદી કામગીરીની સમગ્ર દક્ષિણ એશિયામાં ભારે પ્રશંસા થઈ રહી છે.