05 October, 2022 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીને ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાએ નૅશનલ આઇકન જાહેર કર્યો છે. તે બિહારમાં પણ સ્ટેટ આઇકન તરીકેની પોતાની ભૂમિકા ભજવે છે. યુવાઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ તે કરે છે. હવે ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા ઑલ ઇન્ડિયા રેડિયો સાથે મળીને ‘મત ડાલા જંક્શન’ નામની બાવન એપિસોડની એક સિરીઝ લાવશે. વિવિધ ભારતી પર દર શુક્રવારે ૧૫ મિનિટનો આ એપિસોડ લોકોને સાંભળવા મળશે. ઑલ ઇન્ડિયા રેડિયોનાં તમામ સ્ટેશન્સ પર ૨૩ ભાષામાં આ પ્રોગ્રામ રહેશે. ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા નૅશનલ આઇકનનું ટાઇટલ મળતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘હું પહેલેથી જ બિહારના સ્ટેટ આઇકન તરીકે ઇલેક્શન કમિશન સાથે જોડાયેલો છું. ઑલ ઇન્ડિયા રેડિયોના કાર્યક્રમ દરમ્યાન ચીફ ઇલેક્શન કમિશનર મિસ્ટર રાજીવ કુમારે ઇલેક્શન કમિશનર મિસ્ટર અનુપ ચન્દ્રા સાથે મળીને શોની વચ્ચે જ મને નૅશનલ આઇકન તરીકે જાહેર કર્યો હતો. એ મારા માટે એક ખુશનુમા સરપ્રાઇઝ હતી. આવું કંઈક થશે એની મને જરાય કલ્પના નહોતી.’
તેમનું કામ જોઈને ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાએ આ નિર્ણય લીધો હશે એવું જણાવતાં પંકજ િત્રપાઠીએ કહ્યું કે ‘મને એવું લાગે છે કે બિહારના સ્ટેટ આઇકન તરીકેનું મારું સમર્પણ અને મારી જવાબદારી તેમણે જોઈ છે. લોકોમાં મતદાન માટે સજાગતા લાવવા માટે ક્યારેય પણ ઑડિયો કે પછી વિડિયો ક્લિપની જરૂર પડતી તો હું તરત જ અગત્યની માહિતી શૅર કરતો હતો.
મિસ્ટર રાજીવ કુમારે મારું નામ નૅશનલ આઇકન તરીકે જાહેર કર્યું એની મને ખુશી છે. તેમણે સાથે એ વાત પણ જણાવી કે પંકજ કોઈ પણ પહેલ માટે કમર્શિયલ્સની ફી નથી લેતો અને લોકશાહી પ્રત્યેનો તેમનો પ્રેમ પ્રશંસનીય છે. આ જ કારણ છે કે તેમણે મારું નામ દેશના નૅશનલ આઇકન તરીકે જાહેર કર્યું છે.’