08 February, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘લાઇલાજ’માં પંકજ ત્રિપાઠીનો કૅમિયો છે અને તે આ નાટકમાં દીકરી આશી ત્રિપાઠી સાથે પહેલી વખત સ્ટેજ શૅર કરશે
૧૨ વર્ષના લાંબા બ્રેક બાદ પંકજ ત્રિપાઠી રંગભૂમિ પર કમબૅક કરવા માટે તૈયાર છે. તે મ્યુઝિકલ કૉમેડી પ્લે ‘લાઇલાજ’માં ઍક્ટિંગ કરતા જોવા મળશે. આ નાટકનું નિર્માણ પંકજ ત્રિપાઠીના હોમ-બૅનર રૂપકથા રંગમંચ હેઠળ કરવામાં આવ્યું છે અને એને પંકજ ત્રિપાઠીની પત્ની મૃદુલા ત્રિપાઠીએ પ્રોડ્યુસ કર્યું છે. પંકજ ત્રિપાઠી પોતે પણ આ શોના કો-પ્રોડ્યુસર છે.
‘લાઇલાજ’માં પંકજ ત્રિપાઠીનો કૅમિયો છે અને તે આ નાટકમાં દીકરી આશી ત્રિપાઠી સાથે પહેલી વખત સ્ટેજ શૅર કરશે. આ નાટકનું પ્રીમિયર આજે મુંબઈના રંગશારદા થિયેટરમાં રજૂ કરવામાં આવશે.
થિયેટર પર પાછા ફરવાના અનુભવ વિશે પંકજ ત્રિપાઠીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે ‘થિયેટર એ જગ્યા છે જ્યાંથી એક અભિનેતા તરીકે મારી યાત્રાની શરૂઆત થઈ હતી. મારા માટે આ અનુભવ નૉસ્ટાલ્જિક છે અને મને ફરી જમીન સાથે જોડે છે. સિનેમાએ મને નામ આપ્યું છે, પરંતુ થિયેટરે સતત પડકારોનો સામનો કરવાનું અને વિનમ્ર રહેવાનું શીખવ્યું છે.
આશીને પર્ફોર્મ કરતી જોવી એ મારા જીવનના સૌથી ઇમોશનલ અનુભવોમાંથી એક છે. થિયેટર અનુશાસન, ધીરજ અને કળા પ્રત્યે સન્માન શીખવે છે. આશી માટે આ એક ઉત્તમ મંચ છે જ્યાંથી તે પોતાની ઍક્ટિંગ-યાત્રાની શરૂઆત કરી શકે.’