06 April, 2026 11:00 AM IST | Peshawar | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના પેશાવરમાં આવેલી ‘કપૂર હવેલી’
પાકિસ્તાનના પેશાવરમાં ભારે વરસાદ અને આવેલા જોરદાર ભૂકંપ બાદ રાજ કપૂરના પિતૃક ઘર ‘કપૂર હવેલી’નો એક ભાગ ધરાશાયી થયો છે. ભૂકંપના ઝટકાઓથી પહેલાંથી જ નબળી પડી ગયેલી આ ઇમારતને વધુ અસ્થિર બનાવી દીધી છે.
માહિતી અનુસાર, સતત વરસાદના કારણે હવેલીની સ્થિતિ પહેલાંથી જ નબળી બની ગઈ હતી. ત્યાર બાદ શુક્રવાર રાત્રે આવેલા ભૂકંપે પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી. ખૈબર પખ્તુનખ્વા હેરિટેજ કાઉન્સિલના સચિવે નુકસાનની પુષ્ટિ કરતાં જણાવ્યું કે ભૂકંપ બાદ હવેલીની દીવાલનો એક ભાગ તૂટી પડ્યો છે. તેણે બાકી રહેલા ઢાંચાની સુરક્ષા વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી.
આ મામલામાં અધિકારીઓએ પુરાતત્ત્વ વિભાગ અને પ્રાંત સરકારને આ ઐતિહાસિક ઇમારતના સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે. તેણે ચેતવણી આપી કે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક વારસાને મોટું નુકસાન થઈ શકે છે.
પૃથ્વીરાજ કપૂર સાથે જોડાયેલી આ હવેલી પેશાવરમાં આવેલું એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ છે. આ ઇમારતનું નિર્માણ દીવાન બશેશ્વરનાથ કપૂર દ્વારા ૧૯૧૮થી ૧૯૨૨ દરમ્યાન કરવામાં આવ્યું હતું. અહીં જ રાજ કપૂર અને તેમના કાકા ત્રિલોક કપૂરનો જન્મ થયો હતો. કપૂર હવેલી પોતાના સમયમાં ઉત્તમ આર્કિટેક્ચર માટે જાણીતી હતી. આ હવેલીમાં અંદાજે ૪૦ રૂમ હતા અને તેની આગળની બાજુ સુંદર ફૂલની આકૃતિઓ અને ઝરોખાઓથી સજાવટ કરવામાં આવી હતી. હાલ હવેલી ખૂબ જ જર્જરિત હાલતમાં છે. વર્ષો સુધી વિરાન રહેવા છતાં એની સુંદરતા હજી પણ દેખાય છે. ૧૯૪૭ના ભારત વિભાજન દરમ્યાન કપૂર પરિવાર આ હવેલી છોડીને ભારત આવી ગયો હતો. ત્યાર બાદ આ ઇમારત વિરાન બની ગઈ હતી. આ પછી રિશી કપૂર અને રણધીર કપૂરે ૧૯૯૦ના દાયકામાં આ સ્થળની મુલાકાત લીધી હતી.