08 September, 2026 12:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામાયણ
નિતેશ તિવારીએ ડિરેક્ટ કરેલી અને રણબીર કપૂરને રામ તરીકે ચમકાવતી ‘રામાયણ’ આ વર્ષની દિવાળી પર રિલીઝ થનારી સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, પણ એની સાથે કેટલાંક દૃશ્યોને લઈને ટીકા પણ શરૂ થઈ ગઈ છે. હવે આ મામલામાં શ્રી રામલીલા મહાસંઘે ફિલ્મના મેકર્સને પત્ર લખીને જવાબ માગ્યો છે અને રિલીઝ પહેલાં સ્પેશ્યલ સ્ક્રીનિંગ કરવાની ડિમાન્ડ કરી છે.
આ મામલે લવ કુશ રામલીલા સમિતિના પ્રમુખ અર્જુન કુમારે કહ્યું કે શ્રી રામલીલા મહાસંઘ રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નો વિરોધ કરવાના પોતાના નિર્ણય પર અડગ છે. આ લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે મેકર્સને મોકલાયેલા પત્રનો જવાબ અને રિલીઝ પહેલાં રામલીલા આયોજકો માટે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજવાની ડિમાન્ડ યથાવત્ છે.
અર્જુન કુમારે ચેતવણી આપતાં કહ્યું કે જો ફિલ્મમાં રામાયણના મૂળ કથાનક સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે તો સમગ્ર દેશમાં જોરદાર વિરોધ કરવામાં આવશે. મહાસંઘનું કહેવું છે કે આ સ્ક્રીનિંગનો હેતુ માત્ર એટલો જ છે કે જો એમાં હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે એવાં દૃશ્યો અથવા સંવાદો હોય તો એને રિલીઝ પહેલાં દૂર કરી શકાય.