17 April, 2024 05:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાન હાલમાં જ ટાઇટ સિક્યૉરિટીની વચ્ચે તેના ઘરની બહાર નીકળ્યો હતો. બાંદરામાં આવેલા તેના ઘર ગૅલૅક્સી અપાર્ટમેન્ટ પર રવિવારે વહેલી સવારે બે જણ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. એ બન્ને જણને મુંબઈ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. જોકે એ પહેલાં સલમાન તેના કામ માટે ઘરની બહાર નીકળ્યો હતો. આ માટે તેની સાથે પોલીસની ઘણી કાર પણ સાથે-સાથે ચાલી રહેલી જોવા મળી હતી. તેના ઘરની બહાર અને તેની સાથે પોલીસ સિક્યૉરિટી જોવા મળી રહી છે. સલમાનની ફૅમિલી દ્વારા હાલમાં જ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે તેઓ આઘાતમાં છે. જોકે આ તમામની વચ્ચે સલમાન તેનાં કમિટમેન્ટ પૂરાં કરવા માટે તેના ઘરની બહાર નીકળ્યો હતો.
મુઝસે દૂર રહો
સલમાન ખાનના ઘર પર ગોળીબાર થયા બાદ ઘણા ફ્રેન્ડ્સ તેના ઘરે તેની મુલાકાત લેવા માટે ગયા હતા. જોકે તેણે હવે તેના ઘરે આવવા માટે સેલિબ્રિટીઝને ના પાડી હોવાની વાતો ચાલી રહી છે. તેના ઘરની બહાર ખૂબ જ સિક્યૉરિટી છે અને જે પણ આવે છે તેને ચેક કરવામાં આવે છે. આ કારણસર સોસાયટીમાં રહેતા અન્ય લોકોને તકલીફ પડી રહી હોવાથી સલમાને એવો આગ્રહ રાખ્યો છે કે તેના ઘરે હાલમાં તેને મળવા માટે કોઈ નહીં આવે. આ માટે તેની ફૅમિલી અને ફ્રેન્ડ્સ જેને પણ ફોન કરવામાં આવે છે તેઓ તેમને ઘરે ન આવવા માટેનો જ આગ્રહ કરી રહ્યા છે.