07 September, 2026 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શબાના આઝમી
સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને શબાના આઝમીની ફિલ્મ ‘બટવારા 1947’ને બૉક્સ-ઑફિસ પર અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. હવે ફિલ્મની નિષ્ફળતા પર શબાના આઝમીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કારણની ચર્ચા કરતાં કહ્યું કે કદાચ દર્શકો સની દેઓલને મુસ્લિમ પાત્રમાં સ્વીકારી શક્યા નહીં.
‘બટવારા 1947’ને બૉક્સ-ઑફિસ પર મળેલી નિષ્ફળતા વિશે વાત કરતાં શબાના આઝમીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મની નિષ્ફળતાથી હું ખૂબ જ આશ્ચર્યચકિત છું. મારી આસપાસના લોકો ફિલ્મ જોયા બાદ એની પ્રશંસા કરી રહ્યા હતા અને ફિલ્મના સંદેશને પણ પસંદ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આજના માહોલમાં માનવતા વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે. જોકે બીજી તરફ ઘણા લોકો ફિલ્મ જોવા થિયેટરમાં જ ગયા નહીં અને જેઓ ગયા તેઓ પણ ફિલ્મ જોઈને મૂંઝવણભરી પ્રતિક્રિયા સાથે બહાર આવ્યા.’
શબાના આઝમીએ ફિલ્મના સની દેઓલના પાત્ર વિશે વાત કરતાં કહ્યું કે ‘દર્શકો સનીને મુસ્લિમ તરીકે સ્વીકારી શક્યા નથી. અમિતાભે ‘કૂલી’ સહિત અનેક ફિલ્મોમાં મુસ્લિમ પાત્રો સરળતાથી ભજવ્યાં હતાં. ‘દીવાર’માં અમિતાભ બચ્ચનના પાત્રે ‘૭૮૬’નો બિલ્લો પહેર્યો હતો અને દર્શકોએ એને પણ સહજતાથી સ્વીકાર્યો હતો. સની સાથે આવું ન થયું. ફિલ્મ જોયા બાદ કેટલાક દર્શકો સનીના પાત્રને પાકિસ્તાની માની રહ્યા હતા. હકીકતમાં ફિલ્મમાં સની પાકિસ્તાની પાત્ર ભજવતો નથી, પણ આ વાત દર્શકોના મનમાં યોગ્ય રીતે નોંધાઈ જ નહોતી. ફિલ્મમાં કોઈ એવી બાબત નથી જેના આધારે એને ખોટી કહી શકાય અને સનીએ પણ ખૂબ સારું કામ કર્યું છે.’