20 May, 2021 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય ઉપાધ્યાય
અઢળક ગુજરાતી નાટકો કરનાર અને છેલ્લે ‘સ્કૅમ 1992’માં પ્રણવ શેઠનું પાત્ર ભજવનાર ઍક્ટર જય ઉપાધ્યાય ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’માં જોવા મળશે. જય ઉપાધ્યાય કહે છે, ‘સ્વાગતમ્ કૉમિક થ્રિલર ફિલ્મ છે જેમાં બે બહેન અને એક ભાઈના પરિવારની વાત છે. ઘરમાં એક છોકરો છે જે પાત્ર મલ્હાર ઠાકર ભજવે છે. તેના મામા એટલે કે બે બહેનોના એકમાત્ર ભાઈનું પાત્ર હું પ્લે કરું છું. મારા પાત્રનું નામ રતન છે જે રહસ્યમય છે!’
જય ઉપાધ્યાયે ઓટીટી પ્લૅટફૉર્મ ‘શેમારુ’ પર રિલીઝ થઈ રહેલી ‘સ્વાગતમ્’ ઉપરાંત અશ્વિની ઐયર તિવારીની નેટફ્લિક્સ માટેની ફિલ્મ કરી છે તો બીજી એક બિગ બૅનરની ફિલ્મ સાઇન કરી છે. જય કહે છે, ‘સ્કૅમ 1992 રિલીઝ થઈ એ પછી મોટા બૅનર અને ક્વૉલિટી ફિલ્મો ઑફર થઈ રહી છે. ગયું વર્ષ અને આ વર્ષ મારા માટે જમીન-આસમાનનો ફરક લઈને આવ્યું છે. જોકે પાછું લૉકડાઉન આવી ગયું એટલે અત્યારે તો બધું અટકી ગયું છે. હા, એ કહીશ કે ‘સ્કૅમ 1992’ને કારણે ઇન્ડસ્ટ્રીમાં અમે નોટિસ થયા છીએ. હવે અમે ક્યાંય પણ જઈએ તો ઇન્ટ્રોડક્શન નથી આપવું પડતું.’