લોકો મને વઢી જાય, મારી સાથે લડવા આવે, મારવા પણ દોડે

07 June, 2025 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જેવી પ્રખ્યાત કવિતાના રચયિતા કવિ બોટાદકરના વંશજ તરીકે જન્મેલાં વંદના વિઠલાણી આજે ટીવી-જગતનાં જાણીતાં કલાકાર છે.

વંદના વિઠલાણી

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જેવી પ્રખ્યાત કવિતાના રચયિતા કવિ બોટાદકરના વંશજ તરીકે જન્મેલાં વંદના વિઠલાણી આજે ટીવી-જગતનાં જાણીતાં કલાકાર છે. તેમના ભજવેલાં નકારાત્મક પાત્રોની ખ્યાતિ એટલી છે કે રિયલ લાઇફમાં લોકોને સમજાવવું પડે છે કે એ તો ફક્ત પાત્ર ભજવે છે, ખરેખર તે ખરાબ વ્યક્તિ નથી.

૨૦૧૩માં એક નવા નાટક ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ના કલાકારો એકસાથે મુંબઈથી વાપી જઈ રહ્યા હતા. રસ્તામાં એક જગ્યાએ ચા-નાસ્તો કરવા રોકાયા ત્યારે અચાનક એક વૃદ્ધ પારસી સ્ત્રીએ નાટકના એક કલાકારના હાથનું કાંડું પકડી લીધું...

‘ઊર્મિલા, તારું નખ્ખોદ જઈ ની. તને નઈ છોડું આજે. મારા ગોપી દીકરાને તુએ બઉ હેરાન કરી છે. કેટલી સરસ છોકરી છે એ! તું મામી છે કે જલ્લાદ! તને નઈ છોડું આજે.’

આમ કહીને તેમણે એ કલાકારના હાથને જોરથી કસ્યો. અચાનક જ હુમલાથી ડઘાઈ ગયેલાં વંદના વિઠલાણી બે મિનિટ તો એક શબ્દ ઉચ્ચારી ન શક્યાં. તેમને થયું પહેલાં હાથ છોડાવે પણ એ બહેનનો ગુસ્સો અને પકડ બન્ને મજબૂત હતાં. મામલો ગંભીર થતો જોઈને જાણીતા કલાકાર સંજય ગોરડિયા, જે નાટકમંડળી સાથે હતા, તેઓ વચ્ચે પડ્યા. તેમણે કહ્યું, ‘માસી! આ બહેનનું નામ વંદના છે. તે ‘સાથ નિભાના સાથિયા’ સિરિયલમાં ઊર્મિલા શાહનો રોલ ભજવે છે. તે ઍક્ટિંગ કરે છે એમાં. હકીકતે તે ખૂબ સારા માણસ છે. રિયલમાં તેમણે તમારી ગોપી વહુને નુકસાન પહોંચાડ્યું નથી.’

આ સાંભળીને માંડ તે બહેન શાંત થયાં. ‘સાથ નિભાના સાથિયા’ સિરિયલમાં મુખ્ય પાત્ર ગોપી વહુના જીવનની વિલન તેની મામી હતી જેનો રોલ વંદના વિઠલાણીએ એવો બખૂબી નિભાવ્યો હતો કે લોકો ભૂલી જતા કે સિરિયલ અને રિયલ લાઇફમાં ફરક હોય છે. વિલન કે વૅમ્પના કિરદાર નિભાવનાર કલાકારોને ફૅન્સ તરફથી ભરી-ભરીને નફરત મળે છે જે તેમનો રિયલ અવૉર્ડ સાબિત થાય છે એમ જણાવતાં વંદના વિઠલાણી કહે છે, ‘આ પ્રકારના અટૅક મારા પર ખૂબ થયા છે. લોકો આવી-આવીને મને વઢી જાય, મારી સાથે લડવા આવે, પકડી-પકડીને મારવા દોડે એમ કહું તો વધારે પડતું નથી. એ પાત્રે મને ઘર-ઘર સુધી પહોંચાડી એટલું જ નહીં, આજે કલાકાર તરીકે મારું જે કંઈ નામ છે એનું કારણ મને મળેલું એ પાત્ર છે અને એ બદલ હું ધન્યતા અનુભવું છું.’

નાનપણ
મુંબઈમાં જ જન્મેલાં અને ઊછરેલાં વંદના વિઠલાણી હાલમાં ૫૩ વર્ષનાં છે અને કાંદિવલીમાં રહે છે. આજે બધા તેમને ટીવી-આર્ટિસ્ટ કે થિયેટર-આર્ટિસ્ટ તરીકે ઓળખે છે પણ નાનપણમાં સ્કૂલમાં તેમની શાખ બહુ હતી. એ સમયે વંદનાબહેન પેડર રોડ પર રહેતાં અને ન્યુ એરા સ્કૂલમાં ભણતાં જે હવે બંધ થઈ ગઈ છે. દરેકેદરેક શિક્ષક અને વિદ્યાર્થીઓ તેમને અત્યંત માનની નજરે જોતાં અને તેમનું નામ માનભેર બોલવામાં આવતું, જે હતું વંદના બોટાદકર. ગુજરાતના ખ્યાતનામ કવિ સ્વ. દામોદર બોટાદકરનાં પ્રપૌત્રીને શાળામાં માન ન મળે તો બીજા કોને મળે? સ્કૂલના દિવસોને યાદ કરતાં વંદનાબહેન કહે છે, ‘આખી સ્કૂલને ખબર હતી કે હું તેમની પ્રપૌત્રી છું. એટલે કે તે મારા દાદાના પપ્પા હતા. મને હજી પણ યાદ છે કે ચોથા ધોરણમાં તેમની કવિતા આવતી - જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હું તો શું, મારા પિતા પણ તેમને મળ્યા નથી. હું મારા દાદાને પણ નથી મળી, કારણ કે ખૂબ નાની ઉંમરમાં જ તેઓ ગુજરી ગયા. છતાં તેમના વંશજ તરીકે હું ઘણી કૃતજ્ઞતા અનુભવું છું. મેં જેટલું સાંભળ્યું છે એ મુજબ મારા પરદાદા સ્વ. દામોદર બોટાદકરે ઘણી વિષમ પરિસ્થિતિઓ જોઈ હતી. એટલે ઘરની આર્થિક સ્થિતિ સુધારવા તેમના દીકરા કાન્તિલાલ દામોદર બોટાદકર પિતા પાસેથી એક રૂપિયો લઈને મુંબઈ આવી ગયા. અહીં તેમણે માથાની પિન અને સેફ્ટી પિનનો બિઝનેસ સેટ કર્યો જેને તેમના દીકરા અશ્વિનકુમાર બોટાદકર એટલે કે મારા પપ્પા અને કાકાઓએ મળીને આગળ વધાર્યો. આજે હવે એ બિઝનેસ રહ્યો નથી. એમની આગલી પેઢી એટલેકે અમે બધા જુદા-જુદા ફીલ્ડમાં કામ કરીએ છીએ.’
નાનપણના સ્કૂલના દિવસો યાદ કરતાં વંદનાબહેન કહે છે, ‘મારા પ્રિન્સિપાલ બધાની વચ્ચે કહેતા કે વંદના તો બોટાદકર દાદાનું નાનું રૂપ છે. જોકે મેં તો શું, અમારા ઘરમાં કોઈએ પણ કવિતાઓ નથી લખી પણ સ્કૂલનો એક પ્રોગ્રામ એવો ન હોય જે મારા વગર થાય. અમારી સ્કૂલમાં એ નિયમ હતો કે ગુજરાતી કાર્યક્રમમાં જે ભાગ લે તે અંગ્રેજીમાં ન લે કારણ કે બધાને ચાન્સ મળે. પણ શિક્ષકો મારા માટે એકબીજા સાથે લડતા અને અંતે સ્પેશ્યલ પરમિશન મળતી કે વંદના બન્નેમાં ભાગ લેશે.’

જુદું-જુદું કામ 
તો શું નાનપણથી એ નક્કી હતું કે વંદનાબહેન ઍક્ટર જ બનશે? આ પ્રશ્નનો જવાબ આપતાં વંદનાબહેન કહે છે, ‘મને એવું કંઈ નહોતું. હું તો BCom કરી રહી હતી. એ પછી હોટેલ મૅનેજમેન્ટ પણ કર્યું પણ એમાં બૅક ઑફિસમાં નાઇટ-શિફ્ટ કરવા માટે પપ્પાએ ના પાડી તો એ છોડી ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કર્યું. એ સમય દરમિયાન મને સામેથી જ નાટકોની ઑફર્સ આવવા લાગી. હું કોઈ પણ દિશા પકડું, એના રસ્તા મને નાટક સુધી જ લઈ જતા હતા. હું હંમેશાં ગો વિથ ધ ફ્લોનો નિયમ અપનાવનારી વ્યક્તિ છું. જો સામેથી જ નાટકો આવતાં હોય તો કરવામાં શું વાંધો છે એમ સમજીને મેં નાટકો કર્યાં. જોકે એક વસ્તુ મારી મમ્મીએ મને શીખવેલી કે ખાલી બેસવું નહીં. એટલે સતત કામ કરવું, કોઈ ને કોઈ રીતે પૈસા કમાવા જરૂરી છે એ સમજ તેણે મને આપેલી. એટલે મેં ઘણી જુદા-જુદા પ્રકારની જૉબ્સ પણ કરી છે. હું નાની હતી ત્યારે ટ્યુશન પણ લેતી હતી અને બાળકો માટે જ્યારે ઍક્ટિંગમાંથી બ્રેક લીધેલો ત્યારે પણ ટ્યુશન ચાલુ કરી દીધેલાં. ફેલ થવાના હોય એવા ઘણા છોકરાઓને ભણાવીને મેં પાસ કરાવ્યા છે. આ સિવાય ન્યુમરોલૉજી અને ઍસ્ટ્રોલૉજીમાં પણ મને ખૂબ રસ છે. એટલે કોરોના સમયે જ્યારે ફ્રી બેઠેલા ત્યારે મેં એનો અભ્યાસ કરેલો. મેં કલર-થેરપી અને ન્યુમરોલૉજીનો પ્રયોગ કરીને એ સમયે રાખડીઓ બનાવેલી. મારા હાથેથી બનેલી રાખડીઓ લોકો પર એટલી અસર કરી ગઈ કે આજે પણ ઘણા લોકો રિપીટ ઑર્ડર્સ આપે છે. હવે શૂટિંગને કારણે મારી પાસે સમય નથી હોતો છતાં એ લોકો માટે હું બનાવી દઉં છું, કારણ કે એ પહેરવાથી તેમને ઘણો ફરક લાગે છે એટલે તેમના માટે હું સમય કાઢી લઉં છું.’

ઍક્ટિંગ 
નાટકો કરતાં-કરતાં એક ઑડિશનમાં સિલેક્ટ થયા પછી તેમને ‘સાથ નિભાના સાથિયા’ સિરિયલમાં કામ મળ્યું. એ પહેલાં તેઓ પંદરેક નાટકો કરી ચૂક્યાં હતાં. તેમણે ‘સસુરાલ સિમર કા’, ‘મુસ્કાન’, ‘હમારી બહૂ સિલ્ક’, ‘સાથ નિભાના સાથિયા પાર્ટ-2’, ‘તેરા મેરા સાથ’, ‘પંડ્યા સ્ટોર’, ‘ચાસણી’ જેવી ટીવી-સિરિયલોમાં કામ કર્યું છે. હાલમાં તેઓ કલર્સ ગુજરાતીની ‘યુનાઇટેડ સ્ટેટ ઑફ ગુજરાત’ કરી રહ્યા છે. વંદનાબહેન ૨૪ વર્ષનાં હતાં જ્યારે થિયેટર ઍક્ટર-ડિરેક્ટર વિપુલ વિઠલાણી સાથે તેમણે ભાગીને લગ્ન કર્યાં હતાં. તેમના વિશે વાત કરતાં વંદનાબહેન કહે છે, ‘એવું ક્યારેય વિચાર્યું નહોતું કે ભાગીને લવ-મૅરેજ કરીશ. પણ એ તો છે કે મારે જે કરવું હોય એ હું કરી જ લઉં છું. મારી અંદર એવો કોઈ ડર નથી કે શું થઈ જશે. આજે ૨૯ વર્ષ થઈ ગયાં અમારાં લગ્નને. બે દીકરાઓ છે. ત્યારે પાછળ વળીને જોઉં તો એક સપના જેવું લાગે છે. એક યોગ્ય જીવનસાથી તમારા જીવનને સુખરૂપ બનાવે છે. એવું નથી કે અમે લડતાં નથી, ઘણા ઉતાર-ચડાવ જોયા છે અમે સાથે; પણ આજે એ દરેક પરિસ્થિતિને ચેરિશ કરી શકીએ છીએ.’

વંદના વિઠલાણી સાથે જલદી ફાઇવ
જીવનમાં કોઈ અફસોસ? : મારી મમ્મી મારી સક્સેસ ન જોઈ શકી એ જીવનનો સૌથી મોટો અફસોસ છે. તેમનું મૃત્યુ હું ૨૬-૨૭ વર્ષની હતી ત્યારે જ થઈ ગયું હતું. તે મને આજે આ રીતે જોત તો ખૂબ ખુશ થાત.

ભવિષ્યના પ્લાન? : ખબર નથી કે ઍક્ટિંગની દુકાન કેટલાં વર્ષ સુધી ચાલે એટલે ભવિષ્યનો પ્લાન એ છે કે હું ઍસ્ટ્રોલૉજર કે ન્યુમરોલૉજિસ્ટ તરીકે લોકોની મદદ કરવા માગું છું.

શોખ? : મને ફિલ્મો જોવાનો ખૂબ શોખ છે અને રંગ ભરવાનો પણ. હું મંડલા આર્ટ પ્રૅક્ટિસ કરું છું. શૂટ પર પણ એ સાથે રાખું છું. જેવો સમય મળે, રંગ ભરવા બેસી જાઉં છું.

તમે શું બદલાવ ઇચ્છો છો? : મને જીવનમાં ખૂબ મોડું સમજાયું કે મને દિશાભાન નથી. ખાસ કરીને જમણા-ડાબામાં હું ખૂબ કન્ફ્યુઝ થાઉં છું. શૂટિંગમાં પ્લેસમેન્ટ માટે અમને એની ખૂબ જરૂર પડે. કૅમેરાથી જમણી કે કૅમેરાથી ડાબી બાજુ ઊભા રહેવાની અમને સૂચના આપે ત્યારે મને સમજાય જ નહીં. એટલે રેફરન્સ માટે હું કોઈ વસ્તુ રાખું કે પૂછી લઉં. જો આ દિશાભાન આવી જાય તો સારું પડે.

ટીવી કે થિયેટર? : ટીવી. કારણ કે થિયેટરમાં હજી સુધી મને કોઈ યાદગાર પાત્ર ઑફર નથી થયું. વળી ટીવી પર અમે દરરોજ એક જ પાત્રને જુદી-જુદી સ્ટોરી-ડાયલૉગ સાથે ભજવીએ તો નવું લાગે. નાટકમાં એક જ પાત્ર, એક જ સ્ટોરી અને એ જ ડાયલૉગ વર્ષો સુધી બોલ્યા રાખવાના. એ મને થોડું બોરિંગ લાગે. 

gujarati inflluencer gujarati community news gujaratis of mumbai Gujarati Drama gujarati film gujarati mid-day dhollywood news entertainment news