28 May, 2025 07:05 AM IST | Mumbai | Sudhir Shah
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાના ‘ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનલિટી ઍક્ટ’ની કલમ ૨૧૨(અ) એવા પરદેશીઓ જેઓ અમેરિકામાં પ્રવેશવા લાયક નથી હોતા તેમને ઇમિગ્રન્ટ વીઝા આપવાની મનાઈ ફરમાવે છે. પ્રવેશ નિષેધના કાયદાની એ કલમમાં નીચેની દસ કૅટેગરીઓ ધરાવતા પરદેશીઓનો સમાવેશ થાય છે.
૧) હેલ્થને લગતાં કારણો, ૨) ગુનાને લગતાં કારણો, ૩) રાષ્ટ્રની સુરક્ષાને લગતાં કારણો, ૪) પબ્લિક ચાર્જ બની શકે એને લગતાં કારણો, ૫) લેબર પ્રોટેક્શન ગ્રાઉન્ડ્સ એટલે કે અમેરિકામાં કામ કરતા અમેરિકન મજૂરોની સંરક્ષણતાને લગતાં કારણો, ૬) છળકપટ તેમ જ ઇમિગ્રેશનના કાયદાના ભંગને લગતાં કારણો, ૭) દસ્તાવેજોની જરૂરિયાતોને લગતાં કારણો, ૮) અમેરિકામાં કરવી પડતી મિલિટરી સર્વિસને લગતાં કારણો, ૯) આ પહેલાં અમેરિકા બહાર કાઢી મૂકવામાં આવેલાં અથવા તો અમેરિકામાં ગેરકાયદેસર રહેવાનાં કારણો અને ૧૦) અન્ય પરચૂરણ કારણો.
ઇમિગ્રન્ટ વીઝાની અરજી કરવામાં આવે એટલે કે પરદેશી માટે ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન દાખલ કરવામાં આવે એ પહેલાં અમેરિકન સિટિઝન યા ગ્રીન કાર્ડધારકે તપાસીને જાણી લેવું જોઈએ કે તેઓ જે વ્યક્તિ માટે ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન દાખલ કરવા ઇચ્છે છે એ વ્યક્તિમાં ઉપલા દસમાંથી કોઈ પણ પ્રવેશ નિષેધનું કારણ મોજૂદ નથીને અને જો મોજૂદ હોય તો તેમણે એ જાણકારી મેળવી લેવી જોઈએ કે શું એ પ્રવેશ નિષેધનું કારણ એવું છે જે માફીની એટલે કે waiverની અરજી કરીને દૂર કરી શકાય? જો એમ હોય તો તેમણે યોગ્ય કાયદાકીય સલાહ મેળવીને waiverની અરજી કરીને પછી જ એ પરદેશીના લાભ માટે ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન દાખલ કરવી જોઈએ અન્યથા એ પિટિશન નકારાઈ શકે છે.
આ મુજબ જ જેમના લાભ માટે ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન દાખલ કરવામાં આવી હોય અને એ પિટિશન પ્રોસેસ થઈને અપ્રૂવ પણ થઈ ગઈ હોય, એ કરન્ટ થઈ ગઈ હોય જેથી એની હેઠળ ઇમિગ્રન્ટ વીઝા પ્રાપ્ત કરી શકાય એવા પરદેશીઓએ પણ તપાસી લેવું જોઈએ કે તેમનામાં ઉપલા દસમાંથી કોઈ પણ પ્રવેશ નિષેધનું કારણ મોજૂદ નથીને. અને જો મોજૂદ હોય તો શું એ waiverની અરજી કરીને માફી મેળવીને દૂર કરી શકાય અને જો એમ હોય તો તેમણે તરત જ વેવરની અરજી કરવી જોઈએ.
અનેક ભારતીયો તેમના અંગત સગા માટે ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન કોઈ પણ જાતની પૂછપરછ કર્યા સિવાય દાખલ કરી દે છે. પિટિશન દાખલ કરતાં પહેલાં એ બાબતની ચોક્સાઈ કરવી જરૂરી છે કે જેમના માટે પિટિશન દાખલ કરવામાં આવે છે તેમનામાં પ્રવેશ નિષેધનું કોઈ કારણ મોજૂદ નથીને.