11 August, 2026 10:49 AM IST | Somnath | Gujarati Mid-day Correspondent
સોમનાથ
સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આ વખતે શ્રાવણ મહિનામાં પહેલી વાર ૩૦ દિવસ દરમ્યાન ૫૧ કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩ ઑગસ્ટથી સોમનાથમાં શ્રાવણ શિવ મહોત્સવ શરૂ થશે. પૂર્ણાહુતિ ૧૧ સપ્ટેમ્બરે શ્રાવણ વદ અમાસના દિવસે થશે. આ યજ્ઞમાં કોઈ પણ ભક્ત જોડાઈ શકશે અને યજ્ઞનો લાભ લઈ શકશે. સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુધી ૧ કલાકના ૯ અલગ-અલગ સ્લૉટમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર-પરિસરમાંથી આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યજ્ઞ માટેની ધોતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.
વિશિષ્ટ શૃંગાર અને શૃંગાર પૂજા
શ્રાવણ મહિના દરમ્યાન સોમનાથ મહાદેવજીને વિશિષ્ટ શૃંગાર અને શૃંગાર પૂજા કરવામાં આવશે જેમાં સવાલક્ષ બિલ્વપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન સહિત ૩૦ દિવસના અલગ-અલગ ધાર્મિક માહાત્મ્ય સાથેના શૃંગાર કરવામાં આવશે. કોઈ પણ ધાર્મિકજન સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા, મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, બિલ્વપૂજા, સવાલક્ષ બિલ્વપૂજા સહિતની પૂજાવિધિઓ કરી શકશે.