04 August, 2021 09:13 AM IST | Ahmedabad | Shailesh Nayak
અમદાવાદના દુધેશ્વર મુક્તિધામ ખાતેના સ્મશઆનાં લાકડાંનો પૂરતો સ્ટૉક રાખવામાં આવ્યો છે
હવે કોઈ વ્યક્તિ કોરોનાથી મુશ્કેલીમાં ન મુકાય તેમ જ કોરોનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાય એવું આપણે ઇચ્છીએ, પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા ગુજરાતની હૉસ્પિટલોમાં તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે અમદાવાદનાં સ્મશાનગૃહોમાં લાકડાંનો સ્ટૉક પૂરતા પ્રમાણમાં રખાયો છે.
કોરોનાની બીજી વેવ ઘાતક સાબિત થઈ હતી અને સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમસંસ્કાર માટે લાઇન લાગી હતી. અમદાવાદમાં ૨૪ જેટલાં સ્મશાનગૃહો આવેલાં છે. એમાંથી ઓઢવ સ્મશાનગૃહમાં લાકડાંનો સ્ટૉક વધારવામાં આવ્યો છે અને ગોડાઉન પૅક કરી દીધું છે. તો અમદાવાદનાં સૌથી જૂનાં અને મોટા દુધેશ્વર મુક્તિધામ તેમ જ સપ્તઋષિ સ્મશાનગૃહમાં લાકડાંનો ફુલ સ્ટૉક છે.
સપ્તઋષિ સ્મશાનગૃહના કૉન્ટ્રૅક્ટર સમભાવ સેવા સંઘના દેવાંગ કોષ્ટીએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ચોમાસાના હિસાબે અમે લાકડાંનો સ્ટૉક કરીએ છીએ. અત્યારે અમારી પાસે લાકડાંનો ચારગણો સ્ટૉક છે અને જરૂર પડે તેમ લાકડાં ઉતારતા જઈએ છીએ. કોરોનાથી હવે કોઈનું મૃત્યુ ન થાય એવી પ્રાર્થના કરીએ પણ બાય ચાન્સ કોરોનાની ત્રીજી વેવ આવે તો અમારી પાસે લાકડાંનો ઇનફ સ્ટૉક છે.’
સુરત અને ભાવનગરનાં કેટલાંક સ્મશાનગૃહ પણ ત્રીજી લહેર માટે તૈયાર છે અને લાકડાંનો પૂરતો સ્ટૉક ઊભો કરાઈ રહ્યો છે.