ઍર ઇન્ડિયાની મુંબઈ-લંડન ફ્લાઇટ ૩ કલાક હવામાં રહ્યા બાદ પાછી ફરી

14 June, 2025 10:12 AM IST  |  Phuket | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલ-ઈરાનના યુદ્ધની સાઇડ-ઇફેક્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમદાવાદ-લંડન પ્લેન ક્રૅશની દુર્ઘટનાના બીજે દિવસે મુંબઈથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક-ઑફ બાદ ૩ કલાક હવામાં રહ્યા પછી મુંબઈ ઍરપોર્ટ પર પાછી ફરી હતી. ઍર ઇન્ડિયાએ આ અંગે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ઇઝરાયલે ઈરાન પર તાકેલાં મિસાઇલ અને ડ્રોનને કારણે ઍરસ્પેસ રિસ્ટ્રિક્શન હતું તેમ જ ઈરાનમાં ઇમર્જન્સીને કારણે ઍરસ્પેસ પણ બંધ કરી દેવામાં આવી હતી. એને કારણે સુરક્ષાના પગલે આ રૂટની અમુક ફ્લાઇટ રદ કરવામાં આવી છે તેમ જ અમુક ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી છે તો અમુક ફ્લાઇટ ઊપડી હોય એ ઍરપોર્ટ પર પાછી આવી છે.’

ફ્લાઇટ ટ્રેકિંગ માટે રિયલ ટાઇમ અપડેટ આપતી સંસ્થા ફ્લાઇટરડાર24ના ડેટા મુજબ મુંબઈ-લંડન ફ્લાઇટ સવારે ૫.૩૯ વાગ્યે ટેક-ઑફ કર્યા બાદ ૩ કલાક સુધી હવામાં ઉપર જ રહી હતી. ત્યાર બાદ એ મુંબઈ ઍરપોર્ટ પર પાછી ફરી હતી.

ઍર ઇન્ડિયાએ મુસાફરો માટે ફ્લાઇટ રીશેડ્યુલિંગ, ઍરપોર્ટ પર રહેવાની વ્યવસ્થા ઉપરાંત રીફન્ડની પ્રક્રિયા હાથ ધરી હતી. ઉપરાંત અન્ય મુસાફરોને પણ ફ્લાઇટ શેડ્યુલ ચેક કરીને ઘરેથી નીકળવાનું સૂચન કર્યું હતું.

israel iran thailand london air india airlines news mumbai international news news