11 July, 2025 09:55 AM IST | Jamnagar | Gujarati Mid-day Correspondent
જામનગરમાં જાણીતા મીઠાઈના વેપારી જયંત વ્યાસ
સૌરાષ્ટ્રના જામનગરમાં જાણીતા મીઠાઈના વેપારી જયંત વ્યાસે ગઈ કાલે મંદિર પાસે રિવૉલ્વરમાંથી જાતે જ પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતાં શહેરમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
જામનગર સિટી બી ડિવિઝન પોલીસ-સ્ટેશને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારના સમયે જયંત વ્યાસે નાગેશ્વર વિસ્તારમાં આવેલા બાલનાથ મહાદેવ મંદિર પાસે પોતાની પાસે રહેલી રિવૉલ્વરથી જાતે જ ગળાના ભાગે ગોળી મારી દીધી હતી. તેઓને સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું.’
જામનગરમાં એચ. જે. વ્યાસના નામથી મીઠાઈની દુકાન આવેલી છે જે પ્રખ્યાત છે. જયંત વ્યાસ એના માલિક હતા. ચર્ચાઈ રહ્યું છે કે તેમનાં પત્નીના અવસાન બાદ તેઓ ચૂપચાપ રહેતા હતા. પોલીસે આ કેસમાં આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.