NEET-UG પેપર-લીક વિવાદમાં આજે થાળી અને ચમચી સાથે જંતરમંતર પર વિરોધ-પ્રદર્શન

20 June, 2026 10:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ પ્રતીકાત્મક વિરોધ દ્વારા તેઓ કોરોના મહામારી દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થાળી-વાસણ વગાડવાના આહ‍્વાનની યાદ અપાવીને સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે

ફાઇલ તસવીર

દેશમાં ચાલી રહેલાં પરીક્ષા-કૌભાંડો અને પેપર-લીકના વિરોધમાં યુવાનો દ્વારા સંચાલિત કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) આજે દિલ્હીના જંતરમંતર પર એક અનોખું અને મોટું વિરોધ-પ્રદર્શન કરવા જઈ રહી છે. સંસ્થાના સ્થાપક અભિજિત દીપકેએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને તમામ સમર્થકોને પોતાના ઘરેથી થાળી અને ચમચી લઈને બપોરે એક વાગ્યે પ્રદર્શનમાં જોડાવાની હાકલ કરી છે. આ પ્રતીકાત્મક વિરોધ દ્વારા તેઓ કોરોના મહામારી દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થાળી-વાસણ વગાડવાના આહ‍્વાનની યાદ અપાવીને સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે. દિલ્હી પોલીસની મંજૂરી સાથે યોજાનારા આ આંદોલનનો મુખ્ય હેતુ નૅશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીક વિવાદમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મેળવવાનો છે. CJPનું દિલ્હીમાં આ બીજું મોટું પ્રદર્શન છે; જ્યારે પુણે, લખનઉ, બૅન્ગલોર અને જયપુર સહિત દેશનાં અનેક શહેરોમાં પણ આવાં વિરોધ-પ્રદર્શનો થઈ ચૂક્યાં છે. 

અભિજિત ​દીપકેનો નરેન્દ્ર મોદીને પત્ર : ૧ કરોડનું વળતર માગ્યું

અભિજિત દીપકેએ વડા પ્રધાનને એક પત્ર લખીને જણાવ્યું છે કે પરીક્ષાઓમાં ગેરરીતિ અને રીએક્ઝામની અનિશ્ચિતતાને કારણે તાજેતરના અઠવાડિયામાં ૧૧ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે અને એમાં છેલ્લા ૪૮ કલાકમાં જ પાંચ આત્મહત્યા નોંધાઈ છે. તેમણે આ પરિવારો માટે એક-એક કરોડ રૂપિયાના આર્થિક વળતરની માગણી કરી છે, કારણ કે ઘણા ગરીબ પરિવારોએ બાળકોના ભવિષ્ય માટે મોટી શૈક્ષણિક લોન લીધી હતી. તેમણે ઉમેર્યું કે શિક્ષણપ્રધાનને પદ પરથી હટાવવા એ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માટેનું અનિવાર્ય પગલું છે.

neet exam cockroach janata party new delhi national news news