Operation Sindoor: પાકિસ્તાનને ડર લાગ્યો? ત્યાંના રક્ષા મંત્રીએ કહ્યું કે જો ભારત...

08 May, 2025 07:03 AM IST  |  Karachi | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor: કિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું કે, જો ભારત તણાવ ઓછો કરે છે, તો પાકિસ્તાન પણ એવું જ કરવા તૈયાર છે

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની ફાઇલ તસવીર

આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ભારત (India) દ્વારા શરૂ કરાયેલા `ઓપરેશન સિંદૂર` (Operation Sindoor)થી પાકિસ્તાન (Pakistan)નું અભિમાન ભાંગ્યું છે. પાકિસ્તાન હેબતાઈ ગયો છે. પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack)નો બદલો લેવા માટે ભારત દ્વારા કરવામાં આવેલી સ્ટ્રાઈક બાદ પાડોશી દેશ જાણે હોશમાં આવી ગયો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ (Khawaja Asif)એ બુધવારે કહ્યું હતું કે, જો ભારત તણાવ ઓછો કરે છે, તો પાકિસ્તાન પણ એવું જ કરવા તૈયાર છે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir - POK)માં આતંકવાદી છાવણીઓ સામે લશ્કરી કાર્યવાહી કર્યાના કલાકો બાદ તેમની આ ટિપ્પણી આવી.

બ્લૂમબર્ગ ટેલિવિઝનએ આસિફને ટાંકીને કહ્યું હતું કે, પાકિસ્તાન ફક્ત ત્યારે જ જવાબ આપશે જો તેના પર હુમલો કરવામાં આવશે. તેમણે કહ્યું, `અમે છેલ્લા પખવાડિયાથી સતત કહી રહ્યા છીએ કે અમે ક્યારેય ભારત સામે કોઈ પ્રતિકૂળ કાર્યવાહી કરીશું નહીં, પરંતુ જો અમારા પર હુમલો થશે તો અમે જવાબ આપીશું.` જો ભારત પીછેહઠ કરશે, તો અમે ચોક્કસપણે આ તણાવ ઘટાડીશું. જો કે વાતચીતની શક્યતા અંગે તેમણે કહ્યું કે તેમને આવી કોઈ સંભવિત વાતચીતની જાણ નથી.

આ પહેલા, પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરી (Lieutenant General Ahmed Sharif Chaudhry)એ મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે ભારતના મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા છે અને 46 ઘાયલ થયા છે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે. તેણે કોઈપણ રહેણાંક વિસ્તારો અથવા નાગરિકોના વસવાટવાળા સ્થળો પર હુમલો કર્યો નથી.

આ અગાઉ, બડાઈ મારતા સ્વરમાં, વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shahbaz Sharif)એ કહ્યું હતું કે, તેમના સશસ્ત્ર દળો દુશ્મનનો સામનો કેવી રીતે કરવો તે સારી રીતે જાણે છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ યુદ્ધના કૃત્યનો યોગ્ય જવાબ આપવાનો પાકિસ્તાનને સંપૂર્ણ અધિકાર છે. અમે આનો આકરો જવાબ આપવાની તૈયારી થઈ જ રહી છે. અમે દુશ્મનને તેના નાપાક ઇરાદાઓમાં ક્યારેય સફળ થવા દઈશું નહીં.

જોકે, થોડા સમય પછી, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાનના વડાપ્રધાન પોતાની આદત પ્રમાણે ફક્ત ઠાલી ધમકીઓ અને દમદાટી આપી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના આ નિવેદનના થોડા સમય પહેલા, ભારતના વિદેશ સચિવે સેનાના અધિકારીઓ સાથે પ્રેસ બ્રીફિંગ કરી હતી. આ બ્રીફિંગમાં ઓપરેશન સિંદૂર સંબંધિત સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રેસ બ્રીફિંગ દરમિયાન, ભારતીય સેના અને વિદેશ મંત્રાલયે ઓપરેશન વિશે માહિતી આપી હતી અને પાકિસ્તાન દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા તમામ આતંકવાદી હુમલાઓના દ્રશ્યો દર્શાવ્યા હતા.

operation sindoor pakistan india indian army indian navy indian air force terror attack Pahalgam Terror Attack indian government international news news