24 May, 2025 07:14 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ભારત અંગે તેમનું તાજેતરનું ભાષણ આતંકવાદી હાફિઝ સઈદ જેવું જ છે. 26 નવેમ્બર, 2008 ના રોજ મુંબઈમાં થયેલા અનેક આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો ભારત અને અમેરિકા વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપવાનો ઇતિહાસ રહ્યો છે. પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન પાકિસ્તાન આર્મીના પ્રોપગેન્ડા વિન્ગઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડીજી અહમદ શરીફ ચૌધરીએ તાજેતરમાં ભારત વિરોધી નિવેદન આપ્યું હતું.
પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાનો ઉલ્લેખ કરતા ચૌધરીએ કહ્યું, "જો તમે (ભારત) અમારું પાણી રોકશો, તો અમે તમારા શ્વાસ રોકીશું." સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી અને તેની પાંચ ઉપનદીઓ - સતલજ, બિયાસ, રાવી, ઝેલમ અને ચિનાબના પાણીની વહેંચણી અને વ્યવસ્થાપનની શરતો સાથે સંબંધિત છે. આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયમિત માહિતીના આદાનપ્રદાનને પણ ફરજિયાત બનાવે છે. વિશ્વ બેંક આ સંધિમાં મધ્યસ્થી તરીકે સામેલ છે.
આ દરમિયાન, ભારતે વિવિધ પ્રસંગોએ સ્પષ્ટ કર્યું છે કે `લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી`. ૨૨ એપ્રિલે પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે ૨૩ એપ્રિલે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા પગલાં લીધાં, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે. ભારતે આ સંધિને ત્યાં સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે. આ ઉપરાંત, અટારી બોર્ડર પરની ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટને પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી.
આ પછી, ભારતે 7 મેના રોજ ઑપરેશન સિંદૂર શરૂ કર્યું, જે હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. ભારતની આ કાર્યવાહીમાં, બહાવલપુરમાં જૈશના મુખ્યાલય અને મુરીદકેમાં લશ્કરનો નાશ કરવામાં આવ્યો. પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની હવાઈ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો જે ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો.
ભારતે પોતાની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીથી પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને નિષ્ક્રિય જ નહીં, ભારતીય વાયુસેનાએ 23 મિનિટ સુધી તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને પણ જામ કરી દીધી અને 11 એરબેઝ પર બૉમ્બ ફેંક્યા. ભારતે સરગોધા, નૂર ખાન, જેકોબાબાદ અને રહેરયાર ખાન એરબેઝ પર સચોટ હુમલા કરીને પાકિસ્તાનની લશ્કરી શક્તિને દુનિયા સમક્ષ ખુલ્લી પાડી દીધી. ભારતના હુમલા એટલા અસરકારક અને કાર્યક્ષમ હતા કે પાકિસ્તાને બે દિવસમાં ઘૂંટણિયે પડીને યુદ્ધવિરામની અપીલ કરવી પડી.