09 July, 2026 07:19 PM IST | Melbourne | Gujarati Mid-day Online Correspondent
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી (સૌજન્ય મિડ-ડે)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાએ દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. PM મોદીએ ‘ઑપરેશન સિંદૂર’ને દેશની વધતી સૈન્ય શક્તિનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આતંકી ઠેકાણાઓ પર કરવામાં આવેલી કાર્યવાહીનો અવાજ આખા વિશ્વમાં સંભળાયો હતો. પ્રધાનમંત્રી ગુરુવારે મેલબર્નના માર્વલ સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરવા પહોંચ્યા હતા.
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે કરેલા આતંકવાદ વિરોધી અભિયાન ‘ઑપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે આતંકી કેમ્પો પર હુમલા થયા ત્યારે દુનિયાએ ભારતનો ઈરાદો જોઈ લીધો. PM મોદીએ કહ્યું કે ભારત હવે આતંકવાદ સામે માત્ર વાતો નહીં પરંતુ કડક અને નિર્ણાયક પગલાં લે છે. તેમણે જણાવ્યું કે દુનિયા હવે ભારતના ડિફેન્સ પ્લેટફોર્મ્સની ક્ષમતા અને વિશ્વસનીયતાને જોઈ રહી છે. સંબોધન દરમિયાન PM મોદીએ લોકોને પૂછ્યું કે શું તમે ઑપરેશન સિંદૂર દરમિયાન આતંકી ઠેકાણાઓ પર થયેલા હુમલા જોયા હતા? તેમણે લોકોને પૂછ્યું કે શું આ જોઈને તમને ગર્વ અનુભવાયો નથી? આ સવાલ બાદ સ્ટેડિયમમાં હાજર ભારતીય સમુદાયે જોરદાર તાળીઓ વગાડી અને PM મોદીના નિવેદનને સમર્થન આપ્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 21મી સદીનું ભારત લોકોની આશાઓ અને સ્વપ્નને પૂર્ણ કરતા ઝડપથી વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે એક સ્વપ્ન પૂરું થાય છે ત્યારે નવું સ્વપ્ન જન્મ લે છે અને એક લક્ષ્ય હાંસલ થયા બાદ વધુ મોટું લક્ષ્ય સામે આવે છે. PM મોદીએ જણાવ્યું કે ભારત ‘વધુ વિકાસ કરો, વધુ સિદ્ધિઓ મેળવો’ના વિચાર સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું આગામી મોટું લક્ષ્ય દુનિયાની ટોપ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવાનું છે.
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની ટૅક્નોલૉજી ક્ષેત્રની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત હવે દુનિયાનું બીજું સૌથી મોટું 5G માર્કેટ બની ગયું છે અને સ્વદેશી 6G ટૅક્નોલૉજી વિકસાવવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. મેલબર્નમાં ભારતીય સમુદાય દ્વારા કરવામાં આવેલા ભવ્ય સ્વાગતની પ્રશંસા કરતા PM મોદીએ કહ્યું કે અહીંના લોકોની ઊર્જા અને ઓસ્ટ્રેલિયન મિત્રોના સ્વાગતે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝને ભારતના સાચા મિત્ર ગણાવી તેમનો આભાર માન્યો હતો. PM મોદીએ વિદેશમાં રહેતા ભારતીય સમુદાય (ડાયસ્પોરા)ની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વિદેશમાં રહેતા હોવા છતાં ભારતીયો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહે છે. ભારતીય સમુદાય દુનિયામાં ભારતની સારી છબી બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. સત્યનારાયણ કથા, ગુરુદ્વારાની અરદાસ, ભરતનાટ્યમ, ભાંગડા, ક્રિકેટ ટુર્નામેન્ટ અને ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમોથી વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ સતત આગળ વધી રહી છે.