30 November, 2021 02:53 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ સમીર આબેદી
ઓમિક્રોનના ભય વચ્ચે BMC(બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ ક કોર્પોરેર્પોરેશન)એ શાળાને લઈ મોટો નિર્ણય લીધો છે. મુંબઈ નગરપાલિકાએ પહેલા ધોરણથી સાત ધોરણ સુધીના વર્ગ હવે 15 ડિસેમ્બરથી ખોલવાનો નિર્ણય કર્યો છે. પહેલા આ વર્ગની શાળાઓ 1લી ડિસેમ્બરથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે શાળાઓ ખોલવા અંગે આજે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ(Omicron variant)ના સંભવિત જોખમને ધ્યાને રાખી બીએમસીએ આ નિર્ણય લીધો છે.
પુનામાં પણ 1લી ડિસેમ્બરથી શાળાઓ ખોલવામાં આવશે નહીં. મુંબઈની જેમ પુનામાં પણ હવે શાળાઓ 15 ડિસેમ્બરથી જ ખોલવામાં આવશે. આ અંગે પુના મહાપાલિકા અધિકારી અને મેયર વચ્ચે બેઠક થઈ હતી, ત્યાર બાદ સંયુક્ત રીતે આ નિર્ણય લેવાયો છે. નાસિકમાં પણ શાળાઓ ખોલવાના નિર્ણયને ટાળી દેવામાં આવ્યો છે. નાસિકમાં શાળાઓ ક્યારે ખોલવી તે અંગે 10 ડિસેમ્બર પછી નિર્ણય લેવામાં આવશે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રના શિક્ષા પ્રધાન વર્ષા ગાયકવાડે પહેલી ડિસેમ્બરથી શાળા ખોલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને સરકારે તે પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પરંતુ ઓમિક્રોનના ખતરા વચ્ચે હવે આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મુંબઈમાં શાળાઓ આવતી કાલથી એટલે કે પહેલી ડિસેમ્બરથી ખોલવાને બદલે 15 ડિસેમ્બરથી ખોલવામાં આવશે.