28 February, 2026 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણેશ નાઈક
રાજ્યના વનપ્રધાન ગણેશ નાઈકે શુક્રવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષમાં જંગલી પ્રાણીઓના હુમલામાં કુલ ૪૨૦ લોકોનાં મોત થયાં છે અને આમાંથી ૧૦૪ મોત વાઘ અને દીપડાના કારણે થયાં છે.
વિધાનસભા પરિષદમાં ગણેશ નાઈકે જણાવ્યું હતું કે ‘વિદર્ભ ક્ષેત્રના એકલા ચંદ્રપુર જિલ્લામાં ૨૦૨૫માં જંગલી જનાવરોના હુમલાને કારણે ૪૭ મોત નોંધાયાં હતાં અને મૃતકોના સંબંધીઓને ૮.૨૭ કરોડ રૂપિયા નાણાકીય સહાય તરીકે આપવામાં આવ્યા છે. ચંદ્રપુર જિલ્લામાં ૨૦૦થી વધુ વાઘ છે. ૨૦૨૩થી ૨૦૨૫ સુધીમાં જિલ્લામાં વાઘને કારણે ૯૧ મોત નોંધાયાં હતા, જ્યારે અન્ય પ્રાણીઓ ૧૦ મોત માટે જવાબદાર હતાં.’
પુણે જિલ્લામાં જુન્નર વન્યજીવન વિભાગમાં છેલ્લાં ૭ વર્ષમાં ૨૭ મોત નોંધાયાં હતાં. રાજ્ય સરકારે ૧૫૦ દીપડાઓની નસબંધી માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી. કેન્દ્ર દ્વારા દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા પછી જુન્નરમાં વન-અધિકારીઓએ પાંચ દીપડાની નસબંધી કરી હતી. માનવ-પ્રાણી સંઘર્ષના બનાવોને રોકવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એમ જણાવીને ગણેશ નાઈકે વધુમાં કહ્યું હતું કે સરકાર AI અને આધુનિક ટેક્નૉલૉજીનો મોટા પાયે ઉપયોગ કરવાનું વિચારી રહી છે.
રાજ્યમાં નૉન-બાયોડીગ્રેડેબલ (પ્લાસ્ટિકનાં ફૂલો)ના ઉપયોગ પર પ્રતિબંધ અંગે સ્પષ્ટ આદેશ જાહેર કરવામાં આવશે એમ જણાવીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્ય વિધાનસભામાં કહ્યું હતું કે ‘આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. અમે એના પર સ્પષ્ટ આદેશ જાહેર કરીશું. નવા નિયમો એવા ડેકોરેટર્સ પર લાગુ થશે જેઓ કાર્યક્રમો માટે પ્લાસ્ટિકનાં ફૂલોનો ઉપયોગ કરે છે. જેઓ નૉન-બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિકનો ફૂલોનો ઉપયોગ કરે છે તેમણે કાર્યવાહીનો સામનો કરવો પડશે.’ આ મુદ્દો રાજ્ય વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય વિક્રમ પાચપુતે અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા જયંત પાટીલ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે પ્લાસ્ટિકનાં ફૂલોનો ઉપયોગ ફૂલોની ખેતીમાં રોકાયેલા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ બગાડી રહ્યો છે. રાજ્યનાં પર્યાવરણપ્રધાન પંકજા મુંડેએ જણાવ્યું હતું કે ‘રાજ્યમાં નૉન-બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ છે. રાજ્યને ૯૨,૦૦૦ વાયોલેશન મળ્યાં છે જેને કારણે છેલ્લાં ૪-૫ વર્ષમાં ૪૧૩૫ ટન પ્લાસ્ટિકના ભંગારની વસૂલાત કરવામાં આવી છે.’
અજિત પવારનું જે કંપનીના વિમાન-અકસ્માતમાં મોત થયું હતું અને એની તપાસનો આજે રિપોર્ટ આવવાનો છે ત્યારે VSRની કંપનીના વિમાનમાં જ ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુનેત્રા પવાર અને છગન ભુજબળે નાશિક જવા માટે પ્રવાસ કર્યો હતો. નાશિકમાં આયોજિત કરાયેલા ચોથા વિશ્વ મરાઠી સંમેલનમાં હાજરી આપવા તેઓ આ જ કંપનીના વિમાનમાં ત્યાં પહોંચ્યાં હતાં.
મહારાષ્ટ્ર વિધાનસભાના સત્રમાં હાજર મહિલા વિધાનસભ્યો ગઈ કાલે હળવા મૂડમાં સેલ્ફી લેતાં દેખાયાં હતાં. તસવીર: સૈયદ સમીર અબેદી